હિંસક થયુ પટેલ આંદોલન, 8ના મોત, કલમ 144 લાગુ
અમદાવાદ: પટેલ આરક્ષણને લઈને શરૂ થયેલું આંદોલન ઉગ્ર અને હિંસક બની ગયું છે. મંગળવારે રાત્રે શરૂ થયેલું હિંસક આંદોલન બુધવારે પણ યથાવત રહ્યું હતું. પટેલ આરક્ષણ આંદોલનમાં અત્યાર સુધીમાં એક પોલીસ જવાન સહિત આઠ લોકોના મોત થયા છે.
જો કે હાલમાં પરિસ્થિતિ પર કાબુ મેળવવા સેનાએ મોરચો સંભાળ્યો છે. સેનાએ ગઈકાલે અમદાવાદના રસ્તાઓ પર ફ્લેગ માર્ચ કર્યું હતુ. તો બીજી તરફ પીએમ મોદીએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. મોદીએ જણાવ્યું છે કે હિંસાથી ક્યારેય કોઈનું ભલુ નથી થયું.
અમદાવાદ, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર, પાલનપુર, ઉંઝા, વિસનગર, અને પાટણમાં કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે પટેલ અનામત આંદોલનની માંગને લઈને ચાલી રહેલું આંદોલન મંગળવારે ત્યારે હિંસક બન્યું જ્યારે પટેલ અનામત મહાક્રાંતિના મુખ્ય નેતા હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી.
GMDC ગ્રાઉન્ડ પર પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો અને ત્યારબાદ ભીડ બેકાબુ બનતા તેની આગ આખાય ગુજરાતને લાગી. ગુજરાતભરમાં જ્યાં ત્યાં હિંસા ભડકી ઉઠી. અને તેર વર્ષ બાદ ફરી એક વખત અમદાવાદને આર્મીને હવાલે કરવું પડ્યું. પટેલ અનામત આંદેલનમાં ભડકેલી હિંસામાં અત્યાસુધીમાં 8 લોકોના મોત થયા છે. હાલમાં ગુજરાતભર અજંપાભરી શાંતિનો મહોલ છે.