ખેડૂતો માટે સારા સામાચાર, શિયાળું પાક માટે સરકારે લીધો મોટો નિર્ણય
Agriculture News: ગુજરાતના ખેડૂતોને નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડશે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર સહિત ગુજરાતના 207 જળાશયોમાં 88 ટકા એટલે કે, 7.85 લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી.
ઋષિકેશ પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ 2024 દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય 207 જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે.

હાલ ગુજરાતના 207 જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે 88 ટકા જેટલો એટલે કે, 7.85 લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ 4 ટકા વધુ છે.
વિસ્તારવાર વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાતના જળાશયોમાં 65 ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં 92 ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 91 ટકા પાણીનો જથ્થો ઉપલ્બ્ધ છે.
આ સાથે સૌરાષ્ટ્રના જળાશયોમાં 86 ટકા અને કચ્છના જળાશયોમાં 62 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ 90 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં સુગમતા રહેશે.












Click it and Unblock the Notifications
