For Quick Alerts
For Daily Alerts
વડનગરમાં PM એ પૂછ્યું, આને વિકાસ કહેવાય? લોકોએ કહ્યું, હા!
વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર પોતાના વતન વડનગરની મુલાકાતે પહોંચેલ નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર પોતાના વતન વડનગર પહોંચ્યા હતા. વડનગરવાસીઓમાં પીએમને આવકારવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, તો બીજી બાજુ પીએમ પણ આટલા વર્ષો બાદ પોતાના વતન આવી બહુ ખુશ જણાયા હતા. તેમણે વડનગર પહોંચતા વેંત જમીન પર ઝૂકીને માતૃભૂમિને વંદન કર્યું હતું. વડનગર ખાતે મેડિકલ કોલેજના લોકાર્પણ અને ઇન્દ્રધનુષ રસીકરણ ઝુંબેશની શરૂઆત બાદ તેમણે જનસભાનું સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં વડનગરવાસીઓનો તેમના પ્રેમ બદલ આભાર માન્યો હતો અને નામ લીધા વિના જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીના વડનગર ખાતેના સંબોધનના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...
- પીએમ મોદીએ વ્યક્તિ માટે તેના વતનની કિંમત સમજાવતું એક ઉદાહરણ લોકો સમક્ષ વર્ણવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એકવાર સેનાના અધ્યક્ષ જનરલ કરિઅપ્પા કર્ણાટકમાં પોતાના ગામ ગયા, ત્યાં તેમણે કહ્યું હતું કે, વિશ્વમાં મને ઘણું સન્માન મળ્યું, લાખો સૈનિકોએ સલામ કરી, પરંતુ પોતાના ગામમાં પોતીકાઓ સ્વાગત કરે એ લાગણી, આનંદ કઇંક અનેરા હોય છે. જે રીતે વડનગરના લોકોએ આજે મને અપાર પ્રેમથી ભીંજવી દીધો એ માટે હું શીષ ઝુકાવી તેમને અને મારી માતૃભૂમિને વંદન કરું છું.
- વડનગર અંગે વાત કરતાં નરેન્દ્ર મોદીઓ કહ્યું કે, ચીનના સ્કોલરે પણ વડનગરની મુલાકાત લીધી હતી અને તેમણે મને આ અંગે જણાવ્યું હતું. છેલ્લા 2500 વર્ષોથી જીવંત હોય એવું એકમાત્ર નગર છે, વડનગર. આટલા વર્ષોમાં તે ક્યારેય મૃતઃપ્રાય નથી થયું. વડનગર આજે વિશ્વના પુરાતત્વવિદોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
- પીએમ મોદીએ આગળ કહ્યું કે, આજે અહીં આવીને મારી અનેક જૂની સ્મૃતિઓ તાજી થઇ થઇ છે. આજથી 15-16 વર્ષ પહેલાં વડનગરની જે ઊર્જા હતી, તે જ લઇને આજે પાછો ફરીશ અને દેશ માટે વધુ પુરૂષાર્થ કરીશ.
- આરોગ્ય ક્ષેત્ર અંગે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારે આ ક્ષેત્રે સતત કામ કર્યું છે, અમે સ્ટેન્ટના ભાવ ઓછા કર્યા છે. ગરીબોના આરોગ્ય ક્ષેત્રની સેવાઓ સસ્તા ભાવે મળી રહે એ માટે સરકાર સતત કાર્યરત છે.
- તેમણે આગળ કહ્યું કે, આરોગ્યપ્રદ ભોજન અને તબીબોની માફક જ સ્વચ્છતા પણ આરોગ્યની ગેરન્ટિ આપે છે. દેશના સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત રાજ્યનો ફાળો નોંધપાત્ર છે.
- કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, અટલ બિહારી વાજપાયીની સરકારમાં આરોગ્યને લગતી પોલીસી ઘડાઇ હતી. ત્યાર બાદ આવેલ 10 વર્ષની સરકારને વિકાસથી નફરત હતી. એ દરમિયાન આરોગ્ય અને ખેડૂતોને લગતી નીતિઓ બંધ હતી.
- રસીકરણ અંગે વાત કરતાં પીએમ મોદીએ લોકોને ઇન્દ્રધનુષ રસીકરણ ઝૂંબેશમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે રીતે રક્તદાન કર્યા પછી તમને સંતોષ મળે છે, એ જ રીતે રસીકરણની પ્રક્રિયામાં જોડાવાથી પણ તમને સંતોષની લાગણી અનુભવાશે. આ ઝૂંબેશને પણ એક અભિયાન બનાવો.
- નરેન્દ્ર મોદીના ગુજરાત વિકાસના મોડેલ પર છેલ્લા ઘણા સમયથી પ્રશ્નો થઇ રહ્યાં છે, એની સામે જાણે વળતો પ્રહાર કરતાં હોય એમ તેમણે પોતાના સંબોધનને અંતે જનમેદનીને પૂછ્યું હતું કે, આ કોલેજનું ઉદઘાટન થયું, પુલ બની રહ્યો છે, એને વિકાસ કહેવાય? પીએમ મોદીએ આ પ્રશ્ન જનમેદનીને ત્રણવાર પૂછ્યો હતો અને લોકોએ 'હા'માં જવાબ આપ્યો હતો.
- ત્યાર બાદ પીએમ મોદીએ બીજો પ્રશ્ન કરતાં પૂછ્યું હતું કે, તમને વિકાસ ગમે છે? તમને વિકાસ જોઇએ છે? લોકોએ ફરી 'હા'માં જવાબ વાળ્યો હતો. ત્યાર બાદ પીએમ મોદીએ 'જય હાટકેશ'ના નારા સાથે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું.
Comments
English summary
PM Narendra Modi visited his hometown Vadnagar for the first time after elected as Prime Minister. Read the main points of his speech in Gujarati.
Story first published: Sunday, October 8, 2017, 13:27 [IST]