પોલીસ સાંઇને સુરત લઇને પહોંચી, આજે કરશે કોર્ટમાં હાજર
સુરત, 5 ડિસેમ્બર: સુરતની બે બહેનો પૈકી એક બહેન સાથે બળાત્કારના આરોપી આસારામના પુત્ર નારાયણ સાઇ 58 દિવસથી પોલીસને લદાવી રહ્યો હતો. સાઇને પોલીસે ગઇકાલે બુધવારે પંજાબની બોર્ડર પર આવેલા કુરુક્ષેત્ર વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. સુરત પોલીસ સાઇને લઇને સુરત પહોંચી ગઇ છે.
નારાણય સાઇને દિલ્હીથી સ્પાઇસજેટ એસજી-151 ફ્લાઇટથી સુરત લાવવામાં આવ્યો હતો અને આજે ગુરુવારે તેને સુરત કોર્ટમાં હાજર કરવામાં આવશે. નારાયણ સાઇને સુરત એરપોર્ટથી પોલીસ હેડક્વાર્ટર લઇ જવાશે અને ત્યાંથી સુરત કોર્ટમાં હાજર કરાશે. આજે નારાયણ સાઇને લઇને સુરત પોલીસ સવારે આઠ વાગ્યે એરપોર્ટ પર પહોંચી હતી. અધિકારીક સૂત્રો અનુસાર નારાયણ સાઇ ફ્લાઇટમાં મૌન રહ્યો અને બસ એટલું જ કહ્યું કે આ સમય જલદી પસાર થઇ જશે, અને હું આ આરોપોને સ્વીકાર નથી કરતો.
દિલ્હી પોલીસની ટીમ પણ લુધિયાણા પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે જ માહિતી મળી કે નારાયણ સાઇ ફોર્ડ ઇકો સ્પોર્ટ્સ એસયુવી ગાડી જેનું રજિસ્ટ્રેશન નંબર ઉત્તર પ્રદેશનો હતો, તેમાં બેસીને દિલ્હી આવવા માટે રવાના થઇ ચૂક્યો છે. દિલ્હી પોલીસે તે દરેક સ્થળે પોતાની ટીમ ગોઠવી દીધી જ્યાથી તેની જવાની સંભાવના હતી.
નારાયણ સાઇને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે તે શીખોની વેશભૂષામાં હતો. તેણે નારંગી રંગની પાઘડી પહેરી હતી, અને ટીશર્ટ અને જેકેટ પહેર્યું હતું. નોંધનીય છે કે નારાયણના પિતા આસારામ પણ પહેલાથી જ એક યુવતી પર બળાત્કારના આરોપમાં કેદમાં છે.