શું ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો કરિશ્માઇ જાદુ ગાયબ થઇ રહ્યો છે ?
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હોય અને નરેન્દ્ર મોદીની ચર્ચા ન હોય તેવું જવલ્લેજ બની શકે છે. બસ આ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ નરેન્દ્ર મોદીના કરિશ્માઇ ચહેરાને સામે રાખીને જ મતદારો સમક્ષ જઇ રહ્યા છે. છેલ્લા 27 વર્ષના રાજકીય ઘટનાક્રમ પર નજર કરીએ તો, સ્પષ્ટ દેખાય છેકે, આ સમયગાળામાં કેટલા ઉભરતા નેતાઓ ગુમ થયા અને હાંજી-જીહાં કરનાર નેતાઓનો કાફલો કેટલો વધતો ગયો છે. આ બધુ એક વ્યક્તિના કારણે જ બન્યું, જેની લોકપ્રિયતા મધ્યાહ્ને તપતી હતી. જે, હાલમાં દેશના વડાપ્રધાન પદ સુધી પણ પહોચી ગયા છે.
ત્યારે, હવે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઓટ આવતી જોવા મળી રહી છે. જે નરેન્દ્ર મોદીને સાંભળવા અને તેમની એક ઝલક મેળવવા માટે ચાહકો તલપાપડ રહેતા હતાં, ભારે મોટી ભીડ ઉમટી પડતી હતી. ત્યાં હવે તેમની સભાઓમાં ખાલીપો સર્જાવા માંડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો કંટાળાજનક લાગવા માંડ્યા છે. જે નરેન્દ્ર મોદીના શબ્દોને લોકો પથ્થર પરની લકીર માનતાં હતા, તે હવે ફક્ત મનોરંજન માટે ઉપયોગી થવા લાગ્યા છે.
કોર્પોરેટ લોબીંગ અને વિપક્ષની નબળાઇનો લાભ મેળવી ઉચ્ચ સ્થાને પહોંચ્યા બાદ વાયદા અને વચનોથી વિપરીત કામ કરવાના કારણે તેમના ચાહકો ખસવા માંડ્યા છે. જો, આ ઓટ ચાલુ રહી અને તેને મતદાનમાં ફેરવવામાં વિપક્ષ સફળ થયો તો ભાજપ માટે ભારે મુશ્કેલી ઉભી કરનારાં પરીણામ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આવી શકે છે.