ભરૂચમાં રાહુલે આપ્યા રાજ્ય સરકારની નિષ્ફળતાના 3 ઉદાહરણો
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે ગુજરાત અવી પહોંચ્યા હતા, અહીં તેમણે ભરૂચમાં રોડ શો પણ કર્યો હતો.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારથી ત્રણ દિવસ માટે ગુજરાતની યાત્રાએ છે અને અહીં તેઓ ગુજરાત નવસર્જન યાત્રા હેઠળ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેનાર છે. ગત મહિને તેમણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં નવસર્જન યાત્રા યોજી હતી. બુધવારની યાત્રા માટે તેઓ સૌ પ્રથમ ભરૂચના જંબુસર પહોંચ્યા હતા. અહીં તેમણે જનસભાનું સંબોધન કર્યું હતું. ભરૂચમાં તેમણે રોડ શો પણ કર્યો હતો. રાહુલ ગાંધીને જોવા માટે અનેક લોકોની ભીડ ઉમટી પડી હતી.
વાયબ્રન્ટ ગુજરાતના મુદ્દે પ્રહારો
રાહુલ ગાંધીની નવસર્જન યાત્રાનો રુટ આ મુજબ હતો, જંબુસર ચોકડી, પંચ બટ્ટી, રેલવે સ્ટેશન અને ત્યાર બાદ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે કોર્નર મીટિંગ. રાહુલ ગાંધીની આ નવસર્જન યાત્રા એક કલાક મોડી શરૂ થઇ હતી. તેમણે દયાદરામાં જનસભા પણ સંબોધી હતી. તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અહીં તેમણે ફરી એકવાર બેરોજગારી ભ્રષ્ટાચાર જેવા મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, '22 વર્ષ પહેલાં અહીં ભાજપની સરકાર બની. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને તમારી પાસે રાજ્યના વિકાસ માટે પાણી, વીજળી, જમીનની માંગણી કરી. એનાથી રાજ્યને રોજગાર, શિક્ષા, વિકાસ મળશે, તમને ફાયદો થશે, વગેરે જેવા વાયદાઓ કર્યા. તેનું ચિહ્ન હતું વાયબ્રન્ટ ગુજરાત સમિટ. વિકાસ માટે તમે મુખ્યમંત્રી મોદીજી પર વિશ્વાસ રાખી કષ્ટ વેઠ્યું. આ ગુજરાતની જનતા અને મુખ્યમંત્રી વચ્ચે ભરોસાનો કોન્ટ્રેક્ટ હતો. 8 વાયબ્રન્ટ ગુજરાત સમિટ થયા, 84 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ગુજરાતમાં થશે એમ કહેવામાં આવ્યું હતું. 8 સમિટ બાદ પણ રાજ્યમાં 2 ટકા કરતા પણ ઓછું રોકાણ થયું છે. મોદીજીએ તમને જે વાયદો કર્યો હતો, એ તૂટ્યો.'
ભાજપ સરકારના જૂઠ્ઠાણાંના ત્રણ ઉદાહરણો: રાહુલ ગાંધી
'આ માટે હું તમને ત્રણ ઉદાહરણ આપવા માંગુ છું. આંકડાને આધારે વાત કરીશ. વિકાસનું સૌથી મોટું ચિહ્ન હતી નેનો ગાડી. આ નેનો ગાડી અને ફેક્ટરીને કારણે કેટલા લોકોને રોજગાર મળ્યો? છેલ્લા કેટલાક દિવસમાં તમે રસ્તમાં કેટલી નેનો ગાડી જોઇ? મોદીજીએ ખેડૂતોના હકના પૈસા, જમીન, વીજળી, પાણી આ યોજનાને આપ્યા, પરંતુ તેનું શું પરિણામ આવ્યું? મોદીજીએ એ લોકોનો ભરોસો તોડ્યો. બીજું ઉદાહરણ, આદિવાસીઓને મોદીજીએ વાયદો કર્યો હતો કે, તેઓ જો વીજળી, નર્મદાનું પાણી આપે તો તેમને વનબંધુ યોજના હેઠળ 15 હજાર કરોડ મળશે. પાંચ વર્ષ થયા પણ કશું હાથ ન લાગ્યું. ત્યાર બાદ 2012માં ફરી મોદીજી આવ્યા અને કહ્યું, પહેલા 15 હજાર કરોડ ના આપી શક્યો, પરંતુ હવે 40 હજાર કરોડ રૂપિયા આપીશ. પરંતુ હકીકતમાં તમને એક પણ રૂપિયો મળ્યો નથી. મારો સવાલ છે કે, તો આ આદિવાસીઓના 55 હજાર કરોડ રૂપિયા ક્યાં ગયા? હવે ત્રીજું ઉદાહરણ, માછીમારો માટે તેમણે સાગર ખેડૂત યોજના હેઠળ 11 હજાર કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી, તેમના યુવાઓને નેવીની ટ્રેનિંગ આપવા માટે એક સેન્ટર ખોલવાની વાત કરી હતી અને સાથે જ દરેક ગામમાં આરઓ પ્લાન્ટ લગાવવાની વાત કરી હતી. એક પણ કામ ન થયું. મોદીજી ખેડૂતો આગળ, આદિવાસીઓ આગળ અને માછીમારો આગળ ખોટું બોલ્યા. અને આજે ગુજરાતનો દરેક સમાજ ગુસ્સામાં છે.'