વિસાવદરમાં વરસ્યા રાહુલ ગાંધી, કહ્યું મોદી ખેડૂતોને લૂંટે છે
રાહુલ ગાંધીએ વિસાવદર ભાજપ અને મોદી સરકાર પર લગાવ્યા અનેક આરોપ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ શું આક્ષેપ લગાવ્યા જાણો અહીં
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલા રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમની આ નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. તે પછી તેમણે વિસાવદરમાં ખેડૂતોને એક જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે ભાજપ અને મોદી સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. સાથે જ મોદી સરકારની નીતિઓને ખેડૂત વિરોધી ગણાવી હતી. ત્યારે રાહુલ ગાંધીએ વિસાવદરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર અંગે શું કહ્યું વિગતવાર જાણો અહીં.
રાહુલ ગાંધીએ આ પ્રસંગે કહ્યું કે ગુજરાતમાં ખેડૂતોની જમીન, પાણીને મોટા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. મોદી સરકારની નીતિઓ ખેડૂતો વિરોધી છે. સાથે જ જીએસટી મામલે તેમણએ કહ્યું કે મોદીના ગબ્બર સિંહ ટેક્સમાં ડિઝલ અને પેટ્રોલ જેવી મહત્વની વસ્તુઓને ટેક્સમાંથી બાદ કરી દેવામાં આવી છે. અને 5 અલગ અલગ સ્લેબમાં જીએસટીને લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસે આ તમામ પર એક જ સ્લેબ લગાવાની વાત કરી હતી.
રાહુલ ગાંધીએ આ પ્રસંગે કહ્યું કે પહેલીવાર મેં જોયું કે રાજ્યમાં તમામ લોકો આંદોલન કરી રહ્યા હોય. પાટીદારો આંદોલન કરી રહ્યા છે, દલિતો આંદોલન કરી રહ્યા છે. સરકાર રિમોટથી ચાલે છે. વિજય રૂપાણી ખાલી રબ્બર સ્ટેમ્પ છે. અહીં તમે કંઇક પણ પુછ્યું તો તમને મારવામાં આવે છે. મહિલાઓને મારવામાં આવે છે. કોંગ્રેસ જો સત્તામાં આવશે તો ખેડૂતોને પાણી મળશે, યુવાનોને રોજગાર મળશે.