રાહુલ બાબા આવશે ગુજરાત, કરશે ખેડૂતોની મદદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની રવિવારે, 28 એપ્રિલ, 2013ના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે મળેલ કારોબારી સભામાં ઉપસ્થિત પ્રદેશના પદાધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખો અને વિશેષ આમંત્રિતોને માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યુ હતુ કે, પક્ષમાં કામગીરીનું મુલ્યાંકન થશે સાથો સાથ કામ કરનારને વધુમાં વધુ તક મળશે.
તેમણે જણાવ્યું હતું કે રાજયમાં દશ જિલ્લાઓના 70 થી વધુ તાલુકાઓના 7000 કરતા વધુ ગામો પીવાના પાણીની વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભાજપ સરકાર નર્મદા ડેમમાં પાણી હોવા છતા ગામે ગામ અને તાલુકે તાલુકે પાણી પહોંચાડવામાં સંપુર્ણ નિષ્ફળ નિવડી છે. વિતરણ વ્યવસ્થા માત્ર કાગળ પર જ ચાલી છે. આગામી દિવસો પાણીના પ્રશ્ને સ્થાનિક કક્ષાએ આક્રમક આંદોલન કરવાની કોંગ્રેસ પક્ષે તૈયારી કરી છે.
અછતગ્રસ્ત વિસ્તારોમાં પાક વિમામા ખેડુતોની વિગતો પાક વિમા કંપનીઓને રાજયની ભાજપ સરકાર આપી નથી. પરિણામે પાક વીમાંના લાભોથી ગુજરાતના ખેડુતો વંચિત રહ્યા છે. કૃષિધિરાણના મુદ્દે પણ ભાજપ સરકાર ખેડુતો સાથે રમત રમી રહી છે. ખેડુપોને કૃષિ ધિરાણમાં વ્યાજ માફી માત્ર સહકારી બેન્કોમાંથી લીધેલ ધિરાણ પુરતી વ્યાજ માફી આપવાની જાહેરાત કરી છે. જયારે મોટા ભાગના ખેડુતોએ કૃષિ ધિરાણ રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી લીધુ હોય છે.
ભાજપ સરકારે કેન્દ્રની યોજના અન્વયે તમામ ખેડુતોને કૃષિ ધિરાણમાંવ્યાજ માફીનો લાભ આપવો જોઇએ. કોંગ્રેસ પક્ષ ખેડુતો હિતમાટે પાક વિમા યોજના, કૃષિધિરાણ વ્યાજ માફી અને સિંચાઇના પાણીના મુદ્દે આગામી દિવસોમાં જિલ્લા-તાલુકા કક્ષાએ આંદોલતાત્મક કાર્યક્રમો આપશે. જે જે જિલ્લાઓમાં અછતગ્રસ્ત છે. તે જિલ્લાઓમાં કોંગ્રેસ વિશેષ કાળજી લઇ વહીવટી તંત્રને જાગૃત કરવા માટે આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, સંગઠનમાં આત્મઅવલોકન કરવાની જરૂર છે. કહેલાનુ બહુ મહત્વ નથી. આગામી લોકસભાની ચુંટણીમાં સાથે મળીને સૌ કામ કરશુ તો નિヘતિપણે પરિણામ સારૂ આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ બેઠકો મળે સાથો સાથ આંદોલનના કાર્યક્રમોમાં ફરજિયાતપણે જોડાઇશુ તો કાર્યક્રમની અસરકારકતા વધશે.
અખિલ ભારતિય કોંગ્રેસ કાર્યકારીણી સમિતિના સભ્ય અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મોહન પ્રકાશે જણાવ્યુ હતુ કે, આપણે સૌ નિરાશા ખંખેરીને લોકસભાની ચુંટણીના કામમાં લાગી જવાાનુ છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સમન્વય અને સંવાદની કામગીરી વધુ મજબુત કરવી પડશે.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં સંગઠનની મુલાકાતે જઇ રહ્યા છે. જયારે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં મુલાકાત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે આપણે સૌ જવાબદાર પદાધિકારીઓ છે. પક્ષ માટે કામ કરવાનુ છે. જાત અવલોકન કરવાનો સમય છે. દુષ્કાળના સમયમાં સરકાર તેમા નાગરિકોને રાહત આપવામાં નિષ્ફળ નીવડી છે.
કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીએ કારોબારીને જણાવ્યુ હતુ કે, ભાજપ સરકારે તમામ પ્રકારના નિતિ નિયમો નેવે મુકી દીધા છે. સ્થાનિક કક્ષાએ આપણે તેમની સામે લડત આપવી પડશે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો માટે જિલ્લા કક્ષાની તાલીમ શિબિર યોજાશે.
કોંગ્રેસ પક્ષની કારોબારીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નાગરિક વિરોધી ખેડુતો વિરોધી, શિક્ષણ વિરોધી અને બંધારણ વિરોધી વિધેયકો પરત ખેંચવા ઠરાવ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ કાયદાઓની વિરૂદ્ધમાં આંદોલનના કાર્યક્રમો આપશે. યુનિવર્સિટી સુધારા વિધેયક લોકાયુકતના મુદ્દે સરકારનુ વલણ, સિંચાઇના પાણીના નવા કાયદાનો વિરોધ વગેરે મુદ્દે ઠરાવો પસાર કરાયા હતા.