રાજકોટ : જયશ્રીબેન હત્યા કેસમાં પત્ની સામે પણ ગુનો નોંધશે
રાજકોટમાં માતાને ધાબા પરથી ધક્કો મારનાર કુપુત્ર સંદીપને અજાણે કરેલી ભૂલે તેની પોલ ખોલી. જાણો આ અંગે વિગતવાર અહીં.
રાજકોટના 150 ફુટ રોડ પર નાણાંવટી ચોકમાં આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટના ધાબા પરથી ધક્કો મારીને માતા જયશ્રીબેન નથવાણીની હત્યા કરનાર પુત્ર સંદીપની ધરપકડ બાદ પોલીસે તેની આકરી પુછપરછ કરી હતી. જેમાં તેણે આ બનાવ પાછળ તેની પત્ની રીનાને જવાબદાર ગણી હતી અને કારણ આપ્યું હતુ કે તે પત્ની અને માતા વચ્ચે થતા કંકાશથી કંટાળી ગયો હતો. વધુમાં પત્નીએ પણ જયશ્રીબેનની સેવા ચાકરી કરવાની આનાકાની કરી હતી. ત્યારબાદ ઝઘડો થતા આવેશમાં આવીને અચાનક નિર્ણય લીધો હતો કે પત્નીને સાચવવા માટે તે તેની માતાનો કાંટો કાઢશે. આ બાબતે તેની પત્ની પણ હકીકત જાણતી હતી કે તા. 27મી સપ્ટેમ્બરે શું બન્યુ હતું? અનુપમ સિંહ ગેહલોત રાજકોટ પોલીસ કમિશનરે કહ્યું કે ધરપકડ બાદ ગુરુવાર સાંજે સંદીપે છાતીમાં દુખાવો થયાની ફરિયાદ કરતા નિયમ મુજબ મેડીકલ ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. ત્યારબાદ તેને દાખલ કરવામાં આવ્યો છે. જો કે આજે તેની તબિયત સુધારા પર હોવાથી તેની ધરપકડ કરીને રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સંદીપ જ તેની ગોઠવેલી યોજનામાં જાતે જ ફસાઇ ગયો હતો. કારણ કે સંદીપ નથવાણી દર્શન એવન્યુમાં સેક્રેટરી હતો અને તેણે સુરક્ષા માટે દરેક ફ્લોર પર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેમાં તમામ હરકત કેદ થઇ હતી જે તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં કારણ ભુત બની છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ પાસે સીસીટીવી કેમેરાના ફુટેજ મહત્વના છે. જેને પોલીસે પુરાવા તરીકે કોર્ટમાં રજુ કરશે અને તે માટે એફએસએલની મદદ પણ લેશે. આ ઉપરાંત, આ હત્યા કેસમાં સંદીપની પત્ની પણ ભૂમિકા શંકાસ્પદ હોવાથી તેની પુછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેની સામે પણ ગુનો નોંધવામાં આવશે. બીજી તરફ બનાવ બાદ દર્શન એવન્યુમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે અમને ખેદ છે કે આ પ્રકારની ઘટના અમારા એપાર્ટમેન્ટમાં બની છે અને માતાનો હત્યારો અમારે ત્યાં રહેતો હતો. અમે પોલીસે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશુ અને કપુત્ર સંદીપ અને તેની પત્નીને આકરી સજા મળી તેવી માંગણી કરીશુ. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ સદીપના સાત દિવસના રિમાન્ડની માંગણી કરશે. જેમાં હત્યા પાછળ પ્રોપર્ટીનો ઝઘડો જવાબદાર હતો? કે અન્ય કોઇ કારણ છે? તેમજ હત્યા બાદ તેની જામનગરમાં આવેલી પ્રોપર્ટીના દસ્તાવેજો સાથે ચેડા કર્યા છે કેમ? તે અંગે જાણકારી મેળવવામાં આવશે.












Click it and Unblock the Notifications
