નરેન્દ્ર મોદી પર રેણૂકા ચૌધરીના વ્યક્તિગત પ્રહારો
રેણુકા ચૌધરીએ મોદી પર હુમલો કરતા કહ્યું, '' જે વ્યક્તિ સ્ત્રીઓનું માન નથી જાળવી શકતી તે તમારા લોકોની વ્યથાને કેવી રીતે દૂર કરશે.''
કોંગ્રેસના તેજ તર્રાર નેતા રેણૂકા ચૌધરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યા. ગુજરાતના જૂનાગઢમાં કોંગ્રેસની સભામાં રેણૂકા ચૌધરીએ કહ્યું કે મોદીનો નકાબ હટી ગયો છે અને ભાજપનું બેન્ડ વાગી ગયું છે.
નોંધનીય છે કે, મોદીએ હિમાચલ પ્રદેશમાં કોઇપણનું નામ લીધા વગર ઇશારા-ઇશારામાં કેન્દ્રીય મંત્રી શસિ થરૂરની પત્ની વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી.
મોદીના આ નિવેદન પછી આખી કોંગ્રેસ પાર્ટી થરૂરના સમર્થનમાં આવી ગઇ હતી. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહએ સિમલામાં પત્રકાર પરિષદમાં મોદીને પરણિત હોવા અંગે અને તેનો ઉલ્લેખ ચૂંટણી ફોર્મમા નહીં કરવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.
નરેન્દ્ર મોદીના આ નિવેદનથી શરૂ થયેલો વિવાદ તેમનો પીછો છોડી રહ્યો નથી. બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં થનારા વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ રેલી યોજીને મોદી પર ભારે પડવા પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસના અનેક મોટા નેતાઓ ગુજરાતના વિવિધ શહેરોમાં સભાઓ યોજી રહ્યાં છે.