સાબરમતીમાં સુરંગઃ પોલીસ પર ત્રાસ ગુજારવાનો આરોપ
મેટ્રોપોલિટિયન મેજીસ્ટ્રેટ બી જે ગણાત્રાએ ડીસીબી(ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ)ની એ અરજીને મંજૂરી આપી છે, જેમાં ઉક્ત પાંચેય આરોપીઓની વધુ કસ્ટડીની માંગ કરવામાં આવી છે, ઉપરાંત આરોપીઓનું મેડીકલ ચેકઅપ કરાવવાનો પણ આદેશ આપ્યો છે અને 14 માર્ચે થનારી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કરવા જણાવાયું છે.
પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં, ક્રાઇમ બ્રાન્ચે પાંચેય આરોપીઓને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાં તેમના વકીલ જાવેદ ખાન પઠાણે એ મુદ્દો ઉઠાવ્યો હતો કે, જ્યારે આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હતા ત્યારે તેના અધિકારીઓ દ્વારા તેમના પર ત્રાસ ગુજારવામાં આવતો હતો.
પઠાણે આરોપ લગાવ્યો, ' પોતાની મરજીનું નિવેદન લેવા માટે તપાસકર્તા અધિકારીઓ દ્વારા પાંચેય આરોપી પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.' સુનાવણી દરમિયાન મોહમ્મદ અન્સાર અબ્દુલરઝાક નામના આરોપીએ ફરિયાદ કરી હતી, ' હું પણ એક નાગરીક છું, દર વર્ષે હું આપણા રાષ્ટ્ર ધ્વજને સલામી આપું છું અને જો તમને એવું લાગતું હોય કે મારી ભૂલ છે તો તમે મને શૂટ કરી દો, પરંતુ મારા પર ત્રાસ ગુજારો નહીં.' અન્ય ચાર આરોપી મુફ્તી અબુબશર, મોહમ્મદ ઇસ્માઇલ, નદીમ શૈયદ અને ઇક્બાલ શેખે પણ પોલીસ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો આરોપ મુક્યો છે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતેના બેરેક નંબર ચાર પાસે 18 ફૂટ લાંબી એક સુરંગ 14 કેદીઓ દ્વારા ખોદવામાં આવી હતી. જેલના આજી સ્ક્વોડ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન તેમને માટી જોવા મળી હતી. જે દિશામાં તપાસ હાથ ધરતા માલુમ પડ્યું હતું કે જેલમાં સુરંગ ખોદવામાં આવી રહી છે. આ સુરંગ થકી તેઓ ગટરના રસ્તે ભાગીને સિવિલ લાઇન સુધી ખોદવાની યોજના હતી પરંતુ કેદીઓ પોતાના મનસુબા પર સફળ થાય તે પહેલાં જ જેલ સત્તાધિશોને તેની જાણ થઇ ગઇ હતી. કેદીઓ દ્વારા છ મહિનાથી 18 ફૂટની આ સુરંગ ખોદવામાં આવી હતી. માહિતી અનુસાર અમદાવાદ શ્રેણી બદ્ધ વિસ્ફોટ અને અક્ષરધામના આરોપી જે બેરેકમાં છે, તેની પાછળ બાથરૂમની નજીક આ સુરંગ ખોદવામાં આવી છે. જે છોટા ચક્કરની બાજુમાં છે.