ગણેશજીની મૂર્તિ લઈ જતા લિફ્ટ તૂટી, સાતથી વધુને ઇજા
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો..

ગણેશજીની મૂર્તિ લઈ જતા લિફ્ટ તૂટી, સાતથી વધુને ઇજા
વલસાડમાં ગણેશજીની મૂર્તિને લઈ જવા ખાસ લિફ્ટ તૈયાર કરવામાં આવી હતી પરંતુ તે તૂટી પડતા સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ મૂર્તિ પણ ખંડિત થઈને તૂટી ગઈ હતી. રવિવારે યુવાનો ગણેશજીની પ્રતિમા લેવા મોહિત આર્ટમાં પહોંચ્યા હતા. તેમણે તેમની ગણેશજીની પ્રતિમા ક્રેન પર બેસાડી હતી. ત્યારબાદ તેને ફેરવવા જતાં અચાનક લિફ્ટનો તાર અને હુક તૂટી ગયા હતા. જેને લઇ મૂર્તિ પકડીને ઉભેલા 7 યુવાનો નીચે પટકાયા હતા. જેમને 108 દ્વારા તાત્કાલિક ધોરણે કસ્તૂરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાવ્યા હતા. જ્યાં યુવકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

બે દિવસથી ગુમ થયેલી બાળકીની લાશ મળતા, સ્થાનિકોનો ચક્કાજામ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી અવાવરૂ અને સાવ નિર્જન જગ્યામાંથી બે દિવસથી ગુમ બાળકીની લાશ મળી આવી હતી. પોલીસને શંકા છે કે બાળીક પર બળાત્કાર કરવામાં આવ્યો છે. પાંડેસરાના નેમ નગર ખાતે રહેતા મનોજ ગુપ્તા નામના યુવકની પાંચ વર્ષની બાળકી બે દિવસ અગાઉ ઘર નજીકથી અચાનક ગુમ થઇ ગઇ હતી. બાળકીના દાદા શૌચલય જવા માટે બાળકીને ઓટલા પર બેસાડીને ગયા હતા અને તે પાછા આવે ત્યારે બાળકી નહોતી તેમ દાદાએ જણાવ્યું હતું. જોકે પોલીસ બાળકીને શોધવામાં નિષ્ફળ રહી હતી તેથી ન્યાયની માંગ અને હત્યારાને સજા બાબતે લોકએ ચક્કાજામ કર્યો હતો.

ભાદરવી પૂનમની તડામાર તૈયારી
ભાદરવી પૂનમના અંબાજીના મેળાની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને વિવિધ પગપાળા સંઘો પણ અંબાજી તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. ત્યારે પદયાત્રીઓ માટે આ વખતે એસટી નિગમ દ્વારા અગિયારસો જેટલી વધારાની બસો અંબાજીના મેળા દરમિયાન દોડાવવાનું આયોજન કર્યું છે. આ પદયાત્રીઓ માટે સ્પેશ્યલ બસો દોડાવાશે. નિગમના અધિકારીઓના કહેવા મુજબ, મેળા દરમિયાન પદયાત્રીઓની સુરક્ષાઓને લઈને આ વખતે સારી ગુણવત્તાવાળી બસો જ દોડાવાશે જૂની અને ખખડધજ બસોને નહી દોડાવાય. અંબાજીના મેળા માટે તા. 10થી 16 સપ્ટેમ્બર સુધી બસો દોડાવામાં આવશે.

વડોદરામાં ગાયની હડફેટે બાઇક સવારનું મોત
વડોદરામાં ગાયની હડફેટે આવી જતા બાઇક સવારનું મોત થયું હતુ. આવી જ એક ઘટનામાં રાજકોટમાં પણ આખલાઓની લડાઇએ એક વૃદ્ધને સ્કૂટી પરથી નીચે પાડી દીધા હતા. જેમને તાત્કાલિક રાજકોટ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો વડોદરાની ઘટનામાં સુભાનપુરા વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાટર્સમાં રહેતો રહેતો 27 વર્ષનો સોહલ ભીખાભાઇ ઠાકોર પોતાના વાહન પર સીએનજી પંપ પાસે પહોંચ્યો ત્યારે એક ગાય રસ્તામાં આડી ઉતરી હતી અને તેણે યુવકને શિંગડુ માર્યુ હતુ. ગાયનું શિંગડુ છાતીમાં ઘૂસી જતા યુવકનું મોત નિપજ્યું હતું. સાથે જ બાઇકની ટક્કરથી ગાયનું પણ ત્યાં જ મોત થયું હતું.

રસીકરણ કેમ્પમાં 40 કરતાં વધુ કામદારોને થઈ આડઅસર
નડિયાદ પાસે કોલેરા રસીકરણ કેમ્પમાં મોં વાટે લેવાની દવા ઇન્જેક્શન દ્વારા આપતા કર્મચારીઓને આડઅસર થઈ હતી. આ ઘટનામાં 40 કરતાં વધુ કર્મચારીઓને બિમાર થયા હતા. અને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મહેમદાવાદ પાસે શનિવારે યોજાયેલા કોલેરા રસીકરણ કેમ્પમાં નડિયાદના વંદીતા ક્લિનીકના તબીબ એમ.જી.મોખરીવાલે દ્વારા ફેક્ટરીમાં કામ કરતાં કામદારોને આ રીતે ખોટી રીતે દવા અપાઇ હતી.

દૂંદાળા દેવનું ઠેર ઠેર ધામધૂમથી આગમન
આજે ગણેશ ચતુર્થીના દિવસે સવારથી જ શુભ મુહૂર્તમાં ગણપતિ બાપ્પાની ઠેર ઠેર ધામધૂમથી પધરામણી કરાવવામાં આવી છે. ગુજરાત ભરમાં લોકોએ ઢોલ નગારાના નાદ સાથે વિવિધ મુદ્રાના વિશાળકાય ગણેશજીની શેરીમાં અને ઘરમા પધરામણી કરાવી છે. ગુલાલની છોળો અને ઢોલ નગારાના નાદ સાથે અમદાવાદમાં આજે ઠેર ઠેર ગજાનન પધરાવવામાં આવ્યા હતા. તેમજ ગણેશજીને ગોળ, લાડવા, મોદકનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. તેમજ જાસૂદ અને કમળ તથા ધરોના શણગાર કરવામાં આવ્યા હતા.

ગણેશજીની મૂર્તિ માટે ગુલબાઇટેકરા પર ભીડ
અમદાવાદના ગણેશની મૂર્તિ માટે વખણાતો ગુલબાઈટેકરા વિસ્તારમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભારે ભીડ જોવા મળી હતી. અને ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. લોક ખટારા તથા ટેમ્પામાં વિશાળકાય ગણેશ મૂર્તિ લઈ જતા નજરે પડ્યા હતા.












Click it and Unblock the Notifications
