ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો..
પત્થર સાથે બાંધેલી મહિલાની લાશ મળતા ચકચાર
થરાદ કેનાલ પાસેથી મહિલાની મોટા પત્થર સાથે બાંધેલી લાશ મળતા ટોળા ટોળા ઉમટ્યા હતા. જોકે લાશની ઓળખ થઈ શકી નથી. થરાદના ડેલ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી પથ્થર વડે લોખંડના તારથી બાંધેલી અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. મહિલાને પાંચ મણના પથ્થર વડે લોખંડના તાર વડે કસી કસીને બાંધેલી જોઈ પોલીસ સહિત ઉપસ્થિત લોકો ચોંકી ઉઠયા હતા. ભારે જહેમત ઉઠાવી પથ્થર સાથે મહિલાની લાશને બહાર કાઢી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે થરાદમાં લાશ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણામાં આજે પાટીદારો દ્વારા બંધનું એલાન
મહેસાણામાં આજે કડવા પાટીદાર સમાજ દ્વારા ઉંઝામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધનું એલાન પાછળ ગત ઓગસ્ટ મહિનાની 21 તારીખે નગર પાલિકાના પ્રમુખ જીતુ પટેલ પર હુમલો કારણભૂત છે. અને આ મુદ્દે હુમલા ખોરને પકડવા માટે પોલીસ વડાને એક આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. પરંતુ હજી સુધી પણ જીતુ પટેલના હુમલાખોર છૂટ્ટા ફરી રહ્યા હોવાના કારણે રોષે ભરાયેલા પાટીદારોએ બંધનું એલાન આપ્યુ છે. સવારથી જ દુકાનો સ્વયંભૂ બંધ જોવા મળી રહી હતી.
કેન્દ્રીય મંત્રી રૂપાલાના નાના ભાઇની પેઢીમાં આવકવેરાનો સર્વે
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના સગા ભાઈની પેઢીમાં આવકવેરા વિભાગે સર્વે હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટની આઈટીની ટીમ દ્વારા કેન્દ્રીય મંત્રી રૂપાલાના ભાઈની રાજુલા સહીતની પેઢીઓ પર સર્વેની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમરેલીના રાજકમલ ચોક વિસ્તારની સિમેન્ટનો ધંધો કરતી ઓમ માર્કેટીંગ નામની પેઢી રૂપાલના સગા ભાઇ ઘનશ્યામ રૂપાલાની છે.
તરણેતર ત્રિનેશ્વર મહાદેવના પ્રાંગણાં મેળાના ભાતીગળ રંગો
સુરેન્દ્રનગરના જિલ્લામાં ચિલોડાથી ગુજરાતમાં 39 કિ.મી. દૂર લોકપ્રિય મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવ મેળાના રૂપમાં ઉજવવામાં આવે છે. જેનું આયોજન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની પાસે થાય છે. આ મેળાના ઉદ્ધાટનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે મંદિરની પાસે આવેલ જળાશય માટેની એમ માન્યતા છે કે આ પાણીમાં ડૂબકી લગાવી એ પવિત્ર ગંગામાં ડૂબકી લગાડવા સમાન છે. તે પાપોને ધોઇ નાંખે છે. ત્યારે આ વર્ષે પણ આ મેળામાં દૂર દૂરથી મેદની ઉમટી હતી.
ભરતસિંહ સોલંકીથી નારાજ કોંગ્રેસી જગદીશ ઠાકોરનું રાજીનામું
પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે કોંગ્રેસમાં તમામ પદેથી રાજીનામું આપ્યા બાદ હવે તેમના સમર્થકો પણ સામે આવ્યા છે. લોકસભાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે રાજીનામું આપતા તેમના સમર્થકો પણ તેમની સાથે જોડાયા છે અને પાટણમાં 300થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અમદાવાદ નરોડાના કોંગ્રેસના કાર્યકરો પણ જગદીસ ઠાકોર સાથે જોડાયા હતા અને રાજીનામા ધર્યા હતા.