કોંગ્રેસ સાથેના મતભેદ મામલે બાપુ, હા પક્ષ સામે નારાજગી છે
શંકરસિંહ વાઘેલાએ મંગળવારે પ્રેસ મીટનું આયોજન કર્યું હતું. અહીં તેમણે કોંગ્રેસ સાથેની નારાજગીની વાતને સ્વીકારતાં કહ્યું કે, તા.24ના રોજ ગાંધીનગર ખાતે મારા સમર્થકો સાથે બેઠક કર્યા બાદ આગળની રણનીતિ નક્કી
કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી વચ્ચેના મતભેદની વાત છુપી નથી. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં આ મુદ્દો ચર્ચાનો વિષય છે. આ કારણે શંકરસિંહ વાઘેલાની વારંવારની સ્પષ્ટતાઓ છતાં તેઓ કોંગ્રેસ પક્ષ છોડવાના હોવાની વાતો આવતી રહે છે. કોંગ્રેસ પક્ષ અને પોતાની વચ્ચેના મતભેદ અંગે આખરે બાપુ ખુલીને સામે આવ્યા છે. મંગળવારે શંકરસિંહ વાઘેલાએ મીડિયા મીટનું આયોજન કર્યું હતું. મીડિયા મીટ સામે શંકરસિંહ વાઘેલાએ કરેલા નિવેદનને કારણે આખો મુદ્દો વધુ રહસ્યમય બની ગયો છે.
શંકરસિંહ વાઘેલાએ અહીં પોતાની અને કોંગ્રેસ પક્ષ વચ્ચે અમુક વાતોને લઇને મતભેદ હોવાની વાત એક રીતે સ્વીકારી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, ના તો હું ભાજપમાં જોડાવાનો છું કે ના તો હું મારો અલગ પક્ષ બનાવવાનો વિચાર કરી રહ્યો છું. 24 તારીખે હું જગન્નાથના દર્શને જઇશે અને ત્યાંથી પરત ફરીને આગળની રાજનીતિ નક્કી કરીશ.
કોંગ્રેસ અંગે શંકરસિંહ વાઘેલા
આ મીડિયા મીટમાં શકંરસિંહ વાઘેલાએ કહ્યું કે, હું સોનિયા ગાંધીનો ખૂબ આભારી છું. કોંગ્રેસે મને ઘણું આપ્યું છે અને સામે મેં પણ કોંગ્રેસને ઘણું આપ્યું છે. હું જનસંઘમાંથી રાજકારણમાં આવ્યો હતો. મેં સત્તાની નહીં, સંઘર્ષની રાજનીતિ પસંદ કરી. કોઇ પદની આશા વિના હું પક્ષમાં જોડાયો. મેં ક્યારેય કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ નથી કર્યો.
કોંગ્રેસ સાથેના મતભેદ અંગે બાપુ
કોંગ્રેસ સાથેના મતભેદ અંગે તેમણે કહ્યું કે, હું પક્ષથી નારાજ નથી, મારી માત્ર કેટલીક માંગણીઓ છે. ચૂંટણી પહેલાં થોડું હોમવર્ક જરૂરી છે, ઉમેદવારોના નામ અત્યારથી જાહેર થવા જોઇએ. પૂરતા હોમવર્કના અભાવે નારાજગી છે. મને પદ કે હોદ્દાનો મોહ છે નહીં, જાણી જોઇને મને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે.
તા.24એ ગાંધીનગર ખાતે સંમેલન
"તા.24ના રોજ જગન્નાથના દર્શન બાદ ગાંધીનગર ખાતે બપોરે 3 વાગે બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં માત્ર મારા સમર્થકો હાજર રહેશે, તેમની સાથે ચર્ચા કર્યા બાદ જ આગળની રાજનીતિ નક્કી કરવામાં આવશે." બાપુએ સ્પષ્ટ કર્યું હતું કે, "આ બેઠકમાં પક્ષના પ્રમુખ કે ધારાસભ્યો નહીં, માત્ર તેમના સમર્થકો હશે. સમર્થકોની લાગણીને માન આપીને આગળનો નિર્ણય લેવામાં આવશે
અશોક ગેહલોતના હાથમાં સત્તા
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે, શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીના અણબનાવના પડઘા દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સુધી પડ્યા હતા. ત્યાર બાદ ગુજરાતમાં યોજાનાર આગામી વિધાનસભા ચૂંટણીને લગતા તમામ નિર્ણયો લેવાની સત્તા અશોક ગેહલોતને આપવામાં આવી હતી. બાપુ કે ભરતસિંહ સોલંકી મહત્વના ચૂંટણીલક્ષી નિર્ણયો એકલેહાથે નહીં લઇ શકે, એવી પણ વાતો વહેતી થઇ હતી.
શક્તિસિંહ ગોહિલનું નિવેદન
કોંગ્રેસ પક્ષના ઘણા નેતાઓ શંકરસિંહ વાઘેલાના આ વલણથી થોડા અકળાયેલા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે એક મીડિયા ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં આંતરિક મતભેદ છે, પરંતુ તેને આટલું મોટું સ્વરૂપ ન આપવું જોઇએ. કોંગ્રેસમાં ભાજપની માફક સરમુખત્યારશાહી નથી, કોંગ્રેસમાં લોકશાહી છે. દરેકને પોતાની વાત કહેવાનો હક છે.
બાપુ માટે ભાજપના દરવાજા ખુલ્લા છે
બીજી બાજુ મંગળવારે વલસાડ પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજ નેતાની અવગણના કરી રહી છે, કોંગ્રેસનું શંકરસિંહ સાથેનું વર્તન દુઃખજનક છે. શંકરસિંહ માટે ભાજપના દરવાજા હંમેશા ખુલ્લા છે, નિર્ણય તેમણે લેવાનો છે.