મોદી સામે ચૂંટણીમાં ઝંપલાવી શ્વેતા ભટ્ટ પ્રબળાં બન્યાં છે : શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે "મુખ્યમંત્રી સામે શ્વેતા ભટ્ટ ચૂંટણી લડી રહ્યા છે. શિસ્તવાળી કહેવાતી સરકારના પોલીસ ખાતામાં પોતાના પતિને કરવામાં આવી રહેલી હેરાનગતિ સામે અવાજ ઉઠાવવા માટે તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે. મારું માનવું છે કે શ્વેતા અબળા નારીની છબી બદલીને પ્રબળાં નારીના પ્રતીક બન્યાં છે. તેમની આ હિમ્મત માટે મણિનગરની પ્રજા તેમને સાથ આપશે."
વાઘેલાએ જણાવ્યું કે "મને ઘણા સમયથી વિધાનસભા માટે ઉમેદવાર બનવાનું કહ્યું હતું. તેમનો આગ્રહ ગાંધીનગર ઉત્તર હતો. છેવટે મને કપડવંજથી લડવાનું જણાવાયું. આ માટે હું મારા મિત્ર અને કપડવંજના નાગરિકોનો આભાર માનું છું. બિમલ શાહે ટેકો આપવાની વાત કરી છે તેમને હું આવકારીશ. તેઓ ભાજપ જિલ્લાના પ્રમુખ હતા. એ અંગે પાર્ટીએ વિચારવાનું છે. કોંગ્રેસમાં નામ મોડા જાહેર થાય તેનું કારણ અભ્યાસ છે."
તેમણે નરહરિ અમીનની નારાજગી સામે પક્ષ કેવા પગલાં લેશે તે અંગે જણાવ્યું કે "નરહરિ અમીન પક્ષના અગ્રણી નેતા છે. તેમણે હજી કોઇ નિર્ણય લીધો નથી. તેમની નારાજગી દૂર કરવા પક્ષ પ્રયત્નશીલ છે. પક્ષ બપોર સુધીમાં સ્પષ્ટ કરશે. કોંગ્રેસ પક્ષ આવું કડક પગલું લેશે તેનો ખ્યાલ અમને ન હતો. કોંગ્રેસે આચરેલા કડક પગલાંને કારણે આમ બન્યું છે."
તેમણે વધુમાં જણાવ્યું કે "મણિનગરમાંથી ગઇ ચૂંટણીમાં દિનશા પટેલને ઉતાર્યા હતા. આ વખતે મુખ્યમંત્રી સામે દિગ્ગજ નેતા ઉતારવાનો કોઇ સવાલ નથી. લોકશાહી પ્રક્રિયામાં દરેક પાર્ટીઓ કામ કરતી હોય છે. પસંદગીના કારણે માણસો દુ:ખી થાય તો સમય તેનો ઘાવ ભરે છે. ભાજપની સરકાર જનતાથી ભાગી રહી છે. ભાજપની સરકાર 15 વર્ષથી સત્તા પર હોય અને અમે આમ કરીશું તેમ કહે છે આવી સરકારને વાયદા કરવાનો અધિકાર નથી. એન્ટિ બીજેપી મતદાન થશે અને તેનાથી કોંગ્રેસને ફાયદો થશે."
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની સ્થિતિ અંગે જણાવ્યું કે "મારું માનવું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કોંગ્રેસને 112 કરતા વધારે બેઠકો મળશે એવી મારી આશા છે. મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતની પ્રજા કોંગ્રેસના 12 મુદ્દા ધ્યાનમાં રાખશે તો સ્વયંભૂ ભાજપના વિરુધ્ધમાં મતદાન થશે."
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.