સોનિયા ગાંધીએ ગોડસંબામાં મોદીને આપ્યા પ્રશ્નોના જવાબ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ સુરતના ગોડસંબા ખાતેના ચૂંટણી સભામાં જણાવ્યું કે "કોંગ્રેસે ગુજરાતને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી તરીકે આપ્યા. દક્ષિણ ગુજરાતના લોકો વિનમ્ર છે. ભાજપા સરકાર 15000 કરોડની વનબંધુ યોજના અંગે ચઢાવીને વાતો કરી રહી છે. આ રૂપિયા ક્યાં ગયા તેનો કોઇ હિસાબ નથી." આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રધાન ડૉ તુષાર ચૌધરી, પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પ્રભારી મોહન પ્રકાશ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીએ જણાવ્યું હતું કે "યુપીએ સરકારે ગ્રામીણ વિકાસ યોજના થકી વિકાસ કર્યો છે. ભાજપ સરકારે આટલા સમયમાં પહાડી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી શકી નથી. યુપીએ સરકારે જંગલની જમીનનો અધિકાર આપ્યો છે. ભાજપ સરકારમાં વિકાસ ક્યાં છે? રોજગાર ક્યાં છે? કારણ કે વાસ્તવમાં વિકાસ થયો નથી. અમે હંમેશા મુશ્કેલીમાં ઉભેલા લોકોની સાથે રહ્યા છીએ. દક્ષિણ ગુજરાત સાથે કોંગ્રેસના ખાસ સંબંધો છે. 1977માં ઇન્દિરાજી પ્રત્યે તમે ખૂબ પ્રેમ દર્શાવ્યો હતો. અમારા આલેચકોએ આ સંબંધને તોડવાના ખૂબ પ્રયાસો કર્યા છે. હું ફરી એકવાર કહું છું કે અમારી પાર્ટી આ અમૂલ્ય સબંધને ટકાવી શકશે."
તેમણે આગળ જણાવ્યું કે "દક્ષિણ ગુજરાતમાં કૃષિ અને ઔદ્યોગિક વિકાસનો પાયો કોંગ્રેસે નાખ્યો હતો. કોંગ્રેસે હંમેશા મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરીને વિકાસનો માર્ગ બતાવ્યો છે. સ્વ. રાજીવ ગાંધીએ દહેજને વિકસિત કરવાનો પ્રયાસ કર્યો જે આજે સૌથી વધારે વિકસિત ઔદ્યોગિક ક્ષેત્ર છે. અમે હજીરા, વાપી અંકલેશ્વરનો વિકાસ કર્યો. અમે અહીં નેશનલ હાઇ-વે પણ બનાવ્યા છે. નાની લાઇન્સને મોટી લાઇન્સમાં પરિવર્તિત કરી છે. રાજપીપળા, છોટા ઉદેપુરમાં મોટી લાઇનો નંખાશે."
ગાંધીએ ગુજરાતની વર્તમાન ભાજપ સરકારના શાસનમાં રાજ્યની થયેલી દુર્દશા અંગે ધ્યાન દોરતા જણાવ્યું કે "દુર્ભાગ્યથી વર્તમાન ભાજપ સરકારે સહકારને તોડ્યો છે. અમે સરદાર સરોવર યોજના, મનરેગા જેવી યોજનાઓ શરૂ કરી હતી. યુપીએ સરકારે ખેડૂતોના કરોડોના દેવા માફ કર્યા છે. છતાં, અહીંના ખેડૂતો રાજ્ય સરકારની નીતિને કારણે દોજખમાં છે. કપાસના ભાવ વધારી આપ્યા. અહીં માછીમારીભાઇઓ પણ છે. 12000 કરોડની સાગરખેડૂ યોજના છતાં તેમની સ્થિતિમાં ફેરફાર નથી થયો. અહીં બાળકો, મહિલાઓ કુપોષણનો શિકાર છે. મહિલાઓનું શોષણ અને અત્યાચાર ચાલુ છે. "
સોનિયા ગાંધીએ કહ્યું કે "જો અહીંની સરકારનું ધ્યાન વાસ્તવમાં તમારી વિકાસ અને કલ્યાણ તરફ હોત તો આવું ક્યારેય ના બનત. સરકારનું કર્તવ્ય છે તે સમાજના દરેક વર્ગનો વિકાસ કરે. અમારી સરકારે તમામ રાજ્ય સરકારોને હજારો કરોડ રૂપિયા આપ્યા છે. પણ ખબર નથી તેનો ઉપયોગ ક્યાં થયો છે."
તેમણે જણાવ્યું કે "ગુજરાતની સરકારને ગરીબ અને પછાત વર્ગ માટે સહાનુભૂતિ નથી. અહીં રોશનીની જરૂર છે, જે કોંગ્રેસ કરી શકે છે. કોંગ્રેસ સર્વાંગી વિકાસ કરી શકે છે. સર્વાંગી વિકાસ માટેની યોજનાઓને ખ્યાલ અર્જુન મોઢવાડિયાએ આપ્યો છે."
ગાંધીએ પોતાના સંબોધનના અંતમાં લોકોને અપીલ કરતા કહ્યું કે "હું એટલું જ કહેવા માંગુ છું કે અમારી યોજનાઓને પૂરી કરવા નિષ્ઠાથી પ્રયત્ન કરીશું. મતદાનના દિવસે કોંગ્રેસને વોટ આપીને અમારા દરેક ઉમેદવારોને જીતાડો અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવો."
નરેન્દ્ર મોદીએ સોનિયા અને PMને ત્રણ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું - વાંચવા અહીં ક્લિક કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 : મહત્વની અને રસપ્રદ હકીકતો - વાંચવા અહીં ક્લિક કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના લેટેસ્ટ સમાચારો વાંચવા અહીં ક્લિક કરો