રાજ્યના 12000 ગામડામાં શુદ્ધ પાણી પહોંચાડવા સરકારનો પ્રયાસ
ગાંધીનગર, 22 માર્ચ : ગુજરાત સરકારે પીવાના પાણીની ગુણવત્તા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. રાજ્યમાં જ્યાં ગુણવત્તાલક્ષી પીવાનું પાણી પહોંચતું નહતું તેવા વિસ્તારોમાં પણ સરફેસ વોટરના સહારે ગુણવત્તાલક્ષી પાણી પહોંચાડવા રાજ્ય સરકારે 2500 કિમીની બલ્ક પાઇપલાઇન નેટવર્ક અને રાજ્યવ્યાપી ગ્રીડ સ્થાપીને પ્રસંશનીય કામગીરી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003-04માં કેન્દ્ર સરકારે પાણીની ગુણવત્તા ચકાસવા માટે સર્વે હાથ ધર્યો હતો, જેમાં રાજ્યમાં 7000 કરતાં વધુ વસાહતોમાં પીવાના પાણીની ગુણવત્તાને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. જેમાં ફ્લોરાઇડ, નાઇટ્રેટ અને ખારાશયુક્ત પાણીની સમસ્યાઓ મુખ્ય હતી. પીવાનું પાણી જમીનમાંથી ખેંચવાને લીધે તથા દરિયો નજીક હોવાને લીધે આવી સમસ્યાઓ ઉદભવતી હતી.
રાજ્ય સરકારે આ સમસ્યાઓના નિવારણ માટે પીવાનું પાણી જમીનના પેટાળમાંથી મેળવવાને બદલે સરફેસ વોટર મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને આ માટે રાજ્ય સરકારે 2500 કિમીનું બલ્ક પાઇપલાઇન નેટવર્ક અને 120000 કિમીની વિતરણ લાઇનો તથા 20000 સ્ટોરેજ ટેન્ક દ્વારા પીવાના પાણીના વિતરણની રાજ્યવ્યાપી ગ્રીડ તૈયાર કરી હતી. અત્યાર સુધીમાં આ ગ્રીડના માધ્યમથી રાજ્યના 12000 ગામડાઓ અને 121નગરો સુધી સરફેસ વોટર પહોંચાડાઇ રહ્યું છે.
પરિણામે પીવાના પાણીની ગુણવત્તામાં ભારે સુધારો આવ્યો છે અને સમસ્યાયુક્ત પાણી મેળવતી વસાહતોનું પ્રમાણ ઘટીને માત્ર 40 જેટલું જ રહ્યું છે. હાલની પાણીની અછતની પરિસ્થિતિમાં પણ રાજ્યની 34000 જેટલી વસાહતો માટે માત્ર 400 ટેન્કરની જ જરૂર પડી છે.