પાછુ પગલુ ભરવાની તૈયારીમાં રાજ્ય સરકાર, ઢોર નિયંત્રણ બિલ મુદ્દે કાલે માલધારીઓ સાથે બેઠક!
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને જોતા ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યુ હતું. રાજ્યના મહાનગરો અને નગરો માટે આ બિલમાં જોગવાઈ હતી. બિલ આવ્યા બાદ રાજ્યભરના માલધારીઓ રસ્તા પર ઉતર્યા હતા.
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરને નિયંત્રીત કરવા માટે લાવવામાં આવેલું ઢોર નિયંત્રણ બિલ હવે સરકારની ગળાની ફાંસ બનતું નજર આવી રહી છે. મળી રહેલા સંકેતોને સમજીએ તો સરકાર આ મુદ્દે પાછા પગલા ભરવા માટે લગભગ તૈયાર છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને જોતા ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યુ હતું. રાજ્યના મહાનગરો અને નગરો માટે આ બિલમાં જોગવાઈ હતી. બિલ આવ્યા બાદ રાજ્યભરના માલધારીઓ રસ્તા પર ઉતર્યા હતા. સરકારની કલ્પના બહારનો વિરોધ જોતા હવે રાજ્ય સરકારને રેલો આવ્યો છે. સુત્રોનું માનીએ તો સરકાર હવે આ બિલને પાછુ વાળવા સક્રિય થઈ ગઈ છે.
માલધારી સતત બિલને રદ્દ કરવા માંગ કરી રહ્યાં છે ત્યારે હવે આવતીકાલે સરકાર અને માલધારીઓ વચ્ચે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠક બાદ શું નિર્ણય આવશે તેના પર તમામ લોકોની નજર રહેશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી રખડતા ઢોરનો મુદ્દો યોગ્ય રીતે સુલજાવવા માટે કાર્યવાહી કરવા કહ્યું હતું. આ ઉપરાંત ભાજપ પ્રમુખ પાટીલ પણ આ મુદ્દે સતત સભાઓમાં વાત કરતા હતા. પરંતુ હવે તેઓ પણ નરમ દેખાઈ રહ્યાં છે.