રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ
રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યુ જેનો ચોથો તબક્કો હાલમાં પૂર્ણ થયો છે.
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કુદરતી પાણીનુ સ્તર ઉંચુ આવે તેમજ પાણીનો જળસંચય વધુમાં વધુ થાય અને તેનો લાભ નાગરિકો તેમજ ખેડૂતોને થાય તે માટે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યુ જેનો ચોથો તબક્કો હાલમાં પૂર્ણ થયો છે. કોરોના સંક્રમણની મહામારીના આંશિક નિયંત્રણો વચ્ચે પણ 15.210 કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા તેમજ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શ્રમિકોને 26.46 લાખ માનવદિવસની રોજગારી મળી. જેમાં એક દિવસમાં જ અંદાજિત 1.23 લાખ લોકોને રોજગારી આપવામાં આવી. 19 હજાર 717 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારવામાં આવી જે અગાઉના ત્રણ વર્ષ કરતા પણ વધુ છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જળસંગ્રહનો સ્ત્રોત વધારવા અને જમીનમાં પાણીના સ્તર ઉંચા લાવવા માટે 1 મે, 2018ના દિવસે સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કર્યો હતો. આ અભિયાનમાં છેલ્લા ચાર વર્ષમાં જળસંગ્રહ માટે 56,698 કામો પૂર્ણ થયા અને જળસંગ્રહ ક્ષમતામાં 61,781 લાખ ઘનફૂટનો વધારો થયો. વળી, રાજ્યના 33 જિલ્લાઓમાં 21,402 તળાવોને ઉંડા કરવામાં આવ્યા. આ કાર્યમાં રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, વન પર્યાવરણ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રએ સંપૂર્ણ સહયોગ આપ્યો.
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ચાર વર્ષ દરમિયાન મનરેગા યોજના હેઠળ તમામ જિલ્લાઓમાં 56,698 કામો પૂર્ણ કરાયા. 50,353 કિ.મી. લંબાઈમાં નહેરોની અને કાંસની સફાઈ કરવામાં આવી. 12,221 ચેકડેમોનુ ડી-સીલ્ટીંગ કરાયુ અને 3435 ચેકડેમનુ રિપેરીંગ કરવામાં આવ્યુ. જેના કારણે જળસંગ્રહ ક્ષમતામાં કુલ 61,718 લાખ ઘનફૂટનો વધારો થયો છે. આ સમગ્ર કાર્યોના પરિણામે રાજ્યમાં 156.93 લાખ માનવદિવસની રોજગારી ઉભી થઈ.