ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યરત કરાયુ!
સમગ્ર રાજયમાં વર્ષ- ૨૦૧૮માં જળ સંગ્રહશક્તિ વઘારવા, પાણીનો બગાડ અટકાવવા તથા લોકમાનસમાં જાગૃતિ લાવવાના ઉમદા આશયથી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજયમાં વર્ષ- ૨૦૧૮માં જળ સંગ્રહશક્તિ વઘારવા, પાણીનો બગાડ અટકાવવા તથા લોકમાનસમાં જાગૃતિ લાવવાના ઉમદા આશયથી સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૨નો આરંભ રાજયભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતેના તળાવથી કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ૧૧૬ કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામો થકી જિલ્લામાં જળ સંગ્રહશક્તિમાં ૮૪.૪૦ લાખ ઘન ફૂટ જેટલો વઘારો થશે. આ અભિયાન હેઠળ જિલ્લામાં ૧૬ કિલોમીટર થી વઘારે કાંસોની સફાઇ પણ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં લોકભાગીદારીથી 52 કામો, મનરેગા હેઠળ ૨૩ કામો તથા વિભાગીય રીતે ૪૧ કામો મળી કુલ- ૧૧૬ કામોનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં દહેગામ તાલુકામાં ૩૬, ગાંધીનગર તાલુકામાં ૨૭, કલોલ તાલુકામાં ૨૬ અને માણસા તાલુકામાં ૨૭ જેટલા કામો કરવામાં આવ્યા છે. આ કામો થકી જળ સંગ્રહશક્તિમાં ૮૪.૪૦ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો છે. આ અભિયાન થકી ગાંધીનગર જિલ્લાની ૧૬ કિલોમીટરથી વઘારે કાંસોની સાફ – સફાઇ કરવામાં આવી છે. તેમજ ૬૬૦૦ થી વઘારે માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવી છે. આ અભિયાનમાં ગટર સાફ- સફાઇ, નદી સાફ સફાઇ અને એર વાલ્વ સાફ સફાઇના કામો કરવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત થયેલ કામગીરી થકી પાણીના સંગ્રહમાં વઘારો થવાથી કુવાઓમાં તળ ઉંચા આવશે. સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ થશે. તળાવો, ચેકડેમો વગેરેમાં પાણીનો સંગ્રહ થવાથી સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ હળવી થશે. ખેડૂતોને લાભ થશે. ભુગર્ભ જળના તળ ઉંચા આવવાથી સિંચાઇ અર્થે થતાં વિજ વપરાશમાં ઘટાડો થશે. આ અભિયાન અંતર્ગત થયેલ ખોદાણના કામો થકી નીકળેલ માટી અને કાંપનો ખેડૂતોના ખેતરમાં તથા જાહેર વિકાસના કામોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ માટે સરકાર દ્વારા રોયલ્ટીમાં માફી પણ આપવામાં આવેલ છે.