અશ્રુભીની આંખે યેદીયુરપ્પાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
આ સમયે પોતાની આંખોમાં આવેલાં આંસુઓને રોકવાનો પ્રયત્ન કરતા તેમણે જણાવ્યું કે "ભાજપે મને ઘણું બધું આપ્યું છે, અને મેં પણ પાર્ટી માટે મારું સર્વસ્વ કુર્બાન કરી દીધું છે." તેમણે જણાવ્યું કે તેઓ પોતાના (ભાજપના) જ લોકોના કારણે પાર્ટી છોડી રહ્યા છે. તેઓ ઇચ્છતા નથી કે હું પાર્ટીમાં રહું. આથી જ હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામુ આપી રહ્યો છું.
માનવામાં આવી રહ્યું છે કે યેદીયુરપ્પા બપોરે પોતાનું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષ કે જી બોપૈયાને પોતાનું રાજીનામું સોંપી દેશે. તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી પોતાનું રાજીનામું ફેક્સ દ્વારા મોકલશે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપમાંથી કેટલાક લોકો નથી ઇચ્છતા કે હું મુખ્યમંત્રી બનું. તેઓ મને હાંસિયામાં ધકેલવા ઇચ્છતા હતા. હું છેલ્લા એક વર્ષથી ખૂબ જ ધીરજ સાથે તેમને અવગણી રહ્યો હતો. હું ઘણા દુ:ખ સાથે પાર્ટી છોડી રહ્યો છું. તેમણે કોઇનું પણ નામ લીધા વગર કહ્યું કે રાજ્યના કેટલાક નેતાઓએ મારી પીઠમાં ખંજર ભોંક્યું છે.
ઉલ્લેખનીય છે કે યેદીયુરપ્પાના જવાથી ભાજપને એક મોટો ફટકો પડશે. લિંગાયત સમુદાય સાથે સંબંધ ધરાવનારા 70 વર્ષીય યેદીયુરપ્પાના પ્રયાસોથી જ કર્ણાટકમાં ભાજપ સત્તા પર આવી હતી. તેઓ છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. તેમણે જણાવ્યું કે હું કર્ણાટક જનતા પાર્ટી (કેજેપી)ની રચના કરવા કટિબદ્ધ છું. પાર્ટીની ઔપચારિક શરૂઆત હું 9 ડિસેમ્બરે હવેરીથી કરીશ.