આધાર સાથે મતદારયાદી લિંક કરવાની સુવિધા ચૂંટણીપંચ દ્વારા શરૂ કરાઈ!
કેન્દ્રિય ચૂંટણી પંચે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા માટે અને ચૂંટણી ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાને લઇને કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે.
કેન્દ્રિય ચૂંટણી પંચે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા માટે અને ચૂંટણી ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાને લઇને કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેની આગેવાની હેઠળ ભારતના ચૂંટણી પંચે ૧લી જાન્યુઆરીની સાથે સાથે ૧લી એપ્રિલ, ૧લી જુલાઈ અને ૧લી ઓક્ટોબરની લાયકાતની તારીખોના સંદર્ભમાં યુવાનો અગાઉથી જ મતદાર તરીકે નોંધણી કરાવી શકે તે માટે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને ટૅક-અનેબલ્ડ સોલ્યુશન્સ તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યો છે.
આધાર નંબરને મતદારયાદી સાથે લિંક કરવા માટે આવશ્યક એવી મતદારોની આધાર વિગતો મેળવવા માટે સુધારેલા નોંધણી ફોર્મમાં જોગવાઈ કરવામાં આવી છે. જો કે, આધાર નંબર ન આપનાર વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કાઢવામાં આવશે નહીં.
ચૂંટણી પંચ દ્વારા એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે, અરજદારોના આધાર નંબરની જાળવણી કરતી આધાર નંબરની વિગતો જાહેર ન થવી જોઈએ. જો મતદારોની માહિતી જાહેર પ્રદર્શન માટે મૂકવી જરૂરી હોય, તો આધાર વિગતો દૂર કરવી અથવા માસ્ક કરવી આવશ્યક છે.
મતદાર યાદીમાં નામ નોંધણી કરવા બાબતે દરેક કેસમાં ફિલ્ડ વેરિફિકેશન ફરજિયાતપણે કરવામાં આવશે. મતદારનું નામ મતદારયાદીમાંથી તે જગ્યાએ જ કાઢી નાખવામાં આવશે જ્યાં તે સામાન્ય રીતે રહેતા ન હોય. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તૈયાર કરવાના હેતુથી બૂથ લેવલ ઓફિસરો દ્વારા ફિલ્ડ વેરિફિકેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.