ચૂંટણી વ્યૂહ : ભાજપે જિલ્લાવાર નિરીક્ષકો નક્કી કર્યા
ગુજરાત પ્રદેશ ભાજપની રાજ્ય સ્તરની બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના આગેવાનોની હાજરીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માટેની વ્યૂહ રચના ઘડવામાં આવી હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદી, આરસી ફળદુ, બલબીર પુંજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક અંગે માહિતી આપતા ભાજપના સાંસદ અને અગ્રણી આગેવાન પુરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે "બેઠક ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે જ બોલાવવામાં આવી હતી. બેઠકમાં ઉમેદવારોના નામ ક્યારે જાહેર કરવામાં આવશે એ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. જો કે જિલ્લા સ્તરે નિરીક્ષકોની નિમણૂંક કરી દેવામાં આવી છે."
તેમણે જણાવ્યું કે "અમારા નિરીક્ષકો આગામી 18થી 24 ઑક્ટોબર દરમિયાન જિલ્લાઓમાં જશે. ત્યાંની પરિસ્થિતિ સમજશે. તાલુકા કક્ષાએ કેવું કામ ચાલી રહ્યું છે તે જોશે. ચૂંટણી પ્રચાર માટેની જરૂરી સૂચનાઓ આપશે. 24 ઑક્ટોબર, 2012 બાદ અમારી સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં નિરીક્ષકો પોતાની વાત રજૂ કરશે. ત્યાર બાદ આગળના વ્યૂહ પર કામ કરવામાં આવશે."
આજે ગાંધીનગર પાસે આવેલા કોબામાં પ્રદેશ ભાજપની કારોબારીની મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અને પ્રદેશ ભાજપ પ્રમુખ આર સી ફળદુ હાજરી આપશે. આ બેઠકમાં આવનારી ચૂંટણી માટેનો વ્યૂહ ઘડવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા અને તાલુકા હોદ્દેદારો હાજર રહેવાના છે. આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા આઇ કે જાડેજાએ જણાવ્યું કે "રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે જિલ્લા અને તાલુકા સ્તરે ભાજપના કાર્યકરોએ કેવી રીતે ચૂંટણી પ્રચાર કરવો, સ્થાનિક સ્તરે કેવા મુદ્દા ઉઠાવવા, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કાર્યકરો વચ્ચે સંકલન કેવી રીતે કરવું વગેરે બાબતો માટેની વ્યૂહરચના ઘડવામાં આવશે."
આ બેઠકમાં પ્રચાર વ્યૂહ ઘડવાની સાથે કાર્યકરોને શું તકલીફ પડી રહી છે, લોકોના શું પ્રશ્નો છે, બૂથ મેનેજમેન્ટ માટે શું કરવું જોઇએ વગેરે જેવી બાબતો પણ ચર્ચવામાં આવશે. આ બેઠકમાં ઉમેદવારોના નામ અંગે પણ ચર્ચા કરવામાં આવે એમ માનવામાં આવી રહ્યું છે.