પાટણની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ પર પ્રવાસીઓનો ધસારો વધ્યો!
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ સ્થળ તરીકે જાહેર કરેલ પાટણ ખાતે રાણકી વાવમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રાણકી વાવની મુલાકાત છેલ્લા એક મહિનામાં 49 હજારથી વધુ લોકોએ કરી છે.
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝ સ્થળ તરીકે જાહેર કરેલ પાટણ ખાતે રાણકી વાવમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. રાણકી વાવની મુલાકાત છેલ્લા એક મહિનામાં 49 હજારથી વધુ લોકોએ કરી છે. આ ઉનાળુ વેકેશન દરમિયાન રાણકી વાવને નિહાળવા પ્રવાસીઓનો ધસારો રહ્યો છે. વૈશ્વિક ઓળખ ધરાવતી રાણકી વાવ હવે પ્રવાસીઓની પહેલી પસંદ બની છે.
ઐતિહાસિક ધરોહર અને કોતરણી કલા મામલે વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવને વૈશ્વિક સ્થાન આપ્યું છે. શાળા અને કોલેજોમાં વેકેશનનો સમય છે. જેની સ્પષ્ટ અસર રાણકી વાવના મુલાકાતીઓ ઉપર જોઇ શકાય છે. માત્ર એક માસના સમયગાળામાં જ 49318 પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી છે. પ્રવાસીઓના ધસારાના કારણે ત્યાં પ્રવાસન વિભાગને આવક પણ વધી છે, આસપાસ ધંધા રોજગાર પણ વિકસ્યા છે.
રાણકી વાવની કોતર કામને નજીક થી જોવી એક અનોખી અનુભૂતિ પ્રવાસીઓ અનુભવે છે. ઐતિહાસિક ધરોહર એ આપણા પૂર્વજોએ આપેલી અનોખી દેન છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓ તેને જાણે તે જરૂરી છે. જેથી આપણા ઐતિહાસિક વારસાની ભવ્યતા તેઓ અનુભવી શકે. આ ઐતિહાસિક ધરોહરને ભારતના ચલણ 100 રૂપિયાની નોટ પર પણ સ્થાન અપાયુ છે. ત્યારે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ રાણકી વાવ તરફ આકર્ષાયા છે. ઐતિહાસીક વારસાના પ્રતીક સમાન રાણકી વાવ હવે પ્રવાસીઓની પ્રથમ પસંદ બની છે.