વડનગરમાં દલિતની આત્મહત્યા મામલે પોલીસને 36 કલાકનું અલ્ટીમેટમ
વડનગરમાં દલિત આત્મહત્યા કેસમાં પરિવારે મૃતદેહ લેવાની ના પાડતા મામલો વધુ વકર્યો. ત્રણ આરોપીને પકડવાની પરિવારે કરી માંગણી. જાણો શું છે આખો મામલો અહીં.
વડનગરમાં રહેતા અને શેખપુર ગામમાં રહેતા મહેશ ચૌહાણ નામના 39 વર્ષના યુવકે મંગળવારે તેની સ્કૂલમાં ફરજ બજાવતા ત્રણ શિક્ષકોના ત્રાસથી કંટાળીને કુવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ દલીત કોમ દ્વારા મોટા પાયે વિરોધ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. અને ત્રણ માંગણી પોલીસ તેમજ તંત્ર સામે મુકી હતી. જેમાં પ્રથમ ત્રણેય આરોપી શિક્ષકોની તાત્કાલિક ધરપકજ કરવી, મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી આર્થિક મદદ કરવી અને પરિવારજનો માંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવી. કારણ કે મહેશ ચૌહાણના મૃત્યુ બાદ ઘરની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઇ શકે તેમ છે. અને જો તંત્ર આ માંગણીનો સ્વીકાર ન કરે તો ગુરૂવારે વડનગર બંધનું એલાન પણ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શહેર વડનગરમાં દલીત મોત થતા ફરી એક વાર ગુજરાતમાં દલિતો કેટલા સુરક્ષિત અનુભવે છે વાતે જોર પકડ્યું છે. જો કે બંધ થાય અને દલિત લીડર અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ મુદ્દે ગુરૂવારે વડનગરમાં પરિવારજનોની મુલાકાત લઇને આંદોલનને આગળ ધપાવે તો સમગ્ર દેશમાં મુદ્દે ચર્ચાનો મુદો બની શકે તેમ હતો. જેથી રૂપાણી સરકારે તાત્કાલિક કલેકટર અને જીલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને રાતોરાત વડનગર રવાના કરી દીધા હતા અને તેમણે પરિવારજનોને ખાતરી આપી હતી કે તેમની ત્રણેય માંગણીનો સ્વીકાર કરવા માટે સરકાર કટીબંધ છે અને તે માટે કલેકટર તંત્ર પોતે કામગીરી કરશે. જેથી છેવટે પરિવારજનો મૃતદેહને સ્વીકારવા તૈયાર થયા હતા અને વડનગર બંધનું એલાન પાછુ ખેચ્યું હતું. જો કે સાથોસાથ પોલીસને 36 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.
મૃતક મહેશ ચૌહાણના ભાઇ રમેશ ચૌહાણ કહે છે કે મારો ભાઇ શેખપુરની પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજનનો સંચાલક હતો અને 20 વર્ષથી તે કામ કરતો હતો. પણ શાળામાં ફરજ શિક્ષક તરીકે ફરજ બજાવતા મોમીન હુસૈન અબ્બાસ, વિનોદ પ્રજાપતિ અને અમાજી ઠાકોર નામના વ્યક્તિઓ મારા ભાઇ પાસે દરરોજ મફતમાં ચા નાસ્તો મંગાવતા હતા અને જો મારો ભાઇ ના પાડે તો મધ્યાન ભોજનમાં જમતા બાળકોની સંખ્યા ઓછી બતાવીને આર્થિક નુકશાની પહોંચાડતા હતા. જેથી મારો ભાઇ આર્થિક રીતે થાકી ગયો હતો અને તેણે કંટાળીને આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું. આ બાબતે અમે છેક સુધી લડીને રહીશું અને જો પોલીસ 36 કલાકમાં આરોપીઓની ધરપકડ નહી કરે તો અમે આંદોલન શરૂ કરીશું.