વાઘોડિયાના પિતા-પુત્રએ સ્ટિવિયાની સફળ ખેતી કરી
પિતા-પુત્રની આ જોડીએ આટલેથી નહીં અટકીને તેની નર્સરી એટલે કે રોપ ઉછેર કેન્દ્ર પણ શરૂ કર્યું છે અને રાજ્યમાં સ્ટીવિયાની નર્સરી કરનારા તેઓ પ્રથમ અને કદાચિત એકમાત્ર ખેડૂત હોવાનો તેમનો દાવો છે. આ પિતા પુત્રની જોડી પૂર્ણપણે ખેતીને વરેલી છે અને દાડમની નમૂનેદાર ખેતી કરવાની સાથે તેમણે સુગંધવૃક્ષ ચંદનનું એક ખેતર પણ તૈયાર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સ્ટીવિયાની ખેતી માટે સરકારી સબસીડીની કોઇ યોજના નથી અને તેઓ સ્વેચ્છાએ જ તેની ખેતી કરી રહ્યાં છે. બીએસસી કેમિસ્ટ્રીની અઘતન શિક્ષણ મેળવનારા નીતિને તેના ધરતીપુત્ર પિતા દિનેશભાઇનો ખેતીનો વારસો સંભાળવા કમર કસી છે. સ્ટીવિયાની ખેતી કૃષિ પરિવારની ખેત સાહસિકતાનો પુરાવો આપે છે.
દિનેશભાઇએ અગાઉ ધોળીમૂસળી જેવી ઔષધિય ખેતી પર હાથ અજમાવી જોયો છે. તેઓએ પૂનાની કંપનીમાંથી છોડ મેળવીને સ્ટીવિયાનું વાવેતર કર્યું હતું. આજે સ્ટીવિયાના ઉછરેલા રોપા તેઓ થર્મોકોલના બોક્સમાં, કોકોપીટમાં છોડને રોપીને છેક નેપાળ સુધી અને દેશના અન્ય રાજ્યોમાં મોકલે છે.
તેઓ કહે છે કે આ ખુલ્લા ખેતરની ખેતી છે, સ્ટીવિયાની ખેતી કરવા માટે પોલીહાઉસ કે ગ્રીનહાઉસ જેવી કોઇ વિશેષ સુવિધાની જરૂર પડતી નથી. ખાતર-દવાની જરૂરિયાત નહીંવત છે. પાણી-ગરમી આ પાકને જરૂરી છે પણ પાણી ભરાઇ રહે તે હિતાવહ નથી.
નીતિનભાઇ કહે છે કે કાચામાલ તરીકે સ્ટીવિયાના પાનનું વેચાણ કરવામાં આવે છે. આ પાન સૂર્યપ્રકાશમાં ત્રણ દિવસમાં સુકાઇ જાય છે. મેડીસીનલ કંપનીઓ આ પાનની ખરીદી કરે છે. સ્ટીવિયા ખુબજ મીઠાશ ધરાવે છે. જે સુગર ફ્રી જેવા ગુણો ધરાવે છે. ડાયાબીટીસની સાથે બીપી ઇત્યાદીના નિયંત્રણના ગુણો ધરાવતું હોવાનો આ કૃષિકારોનો દાવો છે.
આ બંને પિતા પુત્રોના સંપર્કથી રાજકોટ, અંટોલી, માડોધર (વાધોડિયા), સેવાસી (વડોદરા) માં ખેડૂતોએ તેની પ્રાયોગિક ખેતી હાથ ધરી છે. દિનેશભાઇ કહે છે કે બિહારમાં સ્ટીવિયાના વાવેતર પર સબસીડી મળે છે. ગુજરાતમાં મેડીસીનલ પ્લાન્ટ ગણીને સબસીડીમાં તેનો સમાવેશ કરવાની જરૂર છે.