ગુજરાત એક બાજુ વાઇબ્રન્ટ, તો બીજી બાજુ ખેડૂતો, લોકોની હાલાકી
એક બાજુ સરકાર વાઇબ્રન્ટ ગુજરાતમાં વ્યસ્ત છે ત્યાં જ બીજી બાજુ ગુજરાતનો ખેડૂત અને પ્રજા વેઠી રહ્યા વિવિધ મુશ્કેલીઓ. શું કોઇ સાંભળે છે તેમની મુશ્કેલીઓને?
ગુજરાતમાં હાલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 ચાલી રહી છે. દેશ વિદેશોથી પ્રતિનિધિઓ, જાણીતા બિઝનેસમેન ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. કરોડોના એમઓયુ અને વેપાર અને વિકાસની વાતો થઇ રહી છે. પણ તે તમામની વચ્ચે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકો નોટબંધી અને પાક.ની યોગ્ય કિંમત ન મળતી હોવાના કારણે લાચારી અનુભવી રહ્યા છે.

વાઇબ્રન્ટ Vs હકીકત
વાઇબ્રન્ટ ગુજરાત સમીટથી કદાચ દેશ વિદેશોમાં ગુજરાતની બ્રાન્ડ વેલ્યુ વધી હશે. વેપારીઓ, વિવિધ દેશોએ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુકતા બતાવી છે. જે ગુજરાત ભવિષ્ય માટે ફાયદાકારક પણ હશે પણ જો ભવિષ્યને થોડી વાર માટે બાજુમાં મૂકી નરી વાસ્તવિકતાની વાત કરીએ તો ગુજરાતમાં નોટબંધીના 50 દિવસ કરતા વધુ થયા હોવા પછી પણ અનેક બેંકો સામે આજે પણ લોકો લાઇનોમાં ઊભા છે. ખેડૂતોએ મબલખ પાક ઉગાડ્યો છે પણ તે પાકનું સામે તેમને વળતર નથી મળી રહ્યું.

ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ
નોટબંધી બાદ દૂધ ઉત્પાદકોએ અરવલ્લીની એક બેંકની તાળા લગાવી દીધા છે. કારણ કે 40 દિવસ વીતવા છતાં બેંક પાસેથી તેમને પગાર પેઠે નાણાં નથી આપી રહ્યા. બીજી તરફ અમરેલી, તલાળા જેવી અનેક જગ્યાએ ખેડૂતો ટમેટા અને રીંગડા રસ્તા પર ફેંકી તેની પરથી વહાન ચલાવી દીધા છે. ટમેટાના પાકનું વધારે ઉત્પાદન થતા અને સામે પક્ષે તેની યોગ્ય બજાર કિંમત ના મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ પાકનો નાશ કર્યો છે.

નોટબંધી પછી પણ લાઇનો
નોંધનીય છે કે નોટબંધી પછી પણ બેંકોની લાઇનો ઓછી નથી થઇ. ક્યાંક એટીએમમાં પૈસા નથી તો ક્યાંક બેંકે હાથ ઊંચા કર્યા છે. કેશલેશ પેમેન્ટ કરવામાં ગામડામાં ગરીબ અને અભણ લોકોને મુંઝવણ પડી રહી છે. બેંકમાં પોતાના જ પૈસા લેવા માટે તેમને લાઇનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. અને આવું ગુજરાતમાં કોઇ એક જગ્યા નહીં ગુજરાતભરના અનેક ગામડાઓમાં જોવા મળી રહ્યું છે.
જવાબદારી કોની?
ત્યારે સવાલ એ ઊભો થાય છે કે નોટબંધી બાદ બેંકમાં કેશ ફ્લો ચાલુ રહે, ગામડાની બેંકોમાં નાણાંની સમસ્યાઓનો ઉકેલ આવે, લોકોમાં કેશલેશ ચૂકવણી અંગે જાગૃતતા આવે તે માટે જવાબદારી કોની? શું સરકાર આ અંગે પણ કોઇ પગલા ભરી રહી છે?












Click it and Unblock the Notifications
