અંગત અદાવતમાં થઇ મારામારી, 2ના મોત, 11થી વધુ ઇજાગ્રસ્ત
અંકલેશ્વર, 16 જાન્યુઆરી: અંકલેશ્વરના હાંસોટ તાલુકાના અંભેટા ગામમાં મકરસંક્રાતિના પર્વના દિવસે જ ગામ ભડકે બળ્યું હતું. ઉત્તરાયણ પર્વના દિવસે જ ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ ગઇ. જેમાં વાહનોને, ઘરને દુકાનોને પણ આગ ચાંપી દેવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 11 જેટલા લોકો ઘાયલ થયા છે.
સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મહિના પહેલા હાંસોટ તાલુકાના અંભેટા ગામે ધાર્મિક લાગણી દુભાવવાના સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સંદેશાઓથી વાતાવરણ તંગ હતું. અને ઉત્તરાયણના દિવસે મામૂલી રકજકથી આ મામલો બીચક્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બંને કોમના જુથ સામસામે હથિયારો લઇને આવી ગયા હતા. બંને જુથોએ એકબીજાના ઘરો અને દુકાનોમાં આગ ચાંપી દીધી હતી. આ અંગેની જુદી જુદી પાંચથી વધુ ફરિયાદ હાંસોટ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી, અલગ અલગ હુમલાઓની ફરિયાદ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં પોલીસે 20 રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો. આ ઉપરાંત 16 લોકો સામે હત્યા, રમખાણ, હુમલો અને ફાયરિંગ સહિતની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અથડામણમાં લારી, ગલ્લા, રીક્ષા, મોટર સાયકલ, તથા મકાનોને આગ ચાંપી દેવાની ઘટના સામે આવી હતી, આ ઉપરાંત ટોળા દ્વારા પોલીસ પર પણ ફાઇરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ તુરંત અત્રેના વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા ઠપ કરી દેવામાં આવી હતી.