વિપુલ ચૌધરીના સમર્થનમાં મહાસંમેલન ભાજપ માટે નુકસાનદાયક?
ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ ગણાતા વિપુલ ચૌધરીની ભ્રષ્ટાચારના આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. વિપુલ ચૌધરીની ધરપકડનો ટાઇમિંગ રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.
ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ ગણાતા વિપુલ ચૌધરીની ભ્રષ્ટાચારના આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે. વિપુલ ચૌધરીની ધરપકડનો ટાઇમિંગ રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ફરીથી વિપુલ ચૌધરી રાજકીય રીતે સક્રિય થયા હતા. તેમણે અર્બુદા સેનાનું નિર્માણ કરીને સમગ્ર ચૌધરી સમાજને એક રાજકીય મંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયમાં તેમના વિવિધ રાજકીય સંમેલનો સફળ રહેતાં અચાનક તેમની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે.
વિપુલ ચૌધરી આંજણા ચૌધરી સમુદાયના નેતા છે અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી રહી ચુક્યા છે. મહેસાણાની દૂધ સાગર ડેરીમાં વર્ષે સુધી ચેરમેન પદ સંભાળ્યા બાદ આખરે તેમના પર ભ્રષ્ટાચારના આરોપસર જેલવાસ પણ ભોગવી ચુક્યા છે. તેમની ફરીથી રાજકીય સક્રિયતાથી ભાજપના જ એક વર્ગમાં ભારે અસંતોષ ઉભો થયો હતો. આ કારણે તેમની રાજકીય માઇલેજને અટકાવવા માટે જ તેમની ધરપકડ કરાઇ હોવાનું ચૌધરી સમાજમાં સૂર જોવા મળી રહ્યો છે.
ગત રોજ બનાસકાંઠાના થાવર ખાતે વિપુલ ચૌધરીના સમર્થનમાં ભવ્ય સંમેલન યોજાયું હતું. બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો હાજર રહી, વિપુલ ચૌધરી સામેના આરોપો પરત લેવાની માંગણી કરી હતી. ચૌધરી સમુદાયે જો વિપુલ ચૌધરી સામેના રાજકીય કિન્નાખોરીભર્યા કેસો પરત નહીં ખેંચાય તો જેલભરો આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી. ઉત્તર ગુજરાતની 15 જેટલી બેઠકો પર નિર્ણાયક મતદારોની ભૂમિકામાં રહેલા ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરી બહોળું વર્ચસ્વ ધરાવે છે. ત્યારે, ચૂંટણીના સમયે જ તેમની ધરપકડ ચૌધરી સમાજના રોષનો ભોગ બનવું પડે તો ભાજપ માટે કઠણ પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.