નર્મદા ડેમની ઊંચાઇ વધ્યા પછી ગુજરાતને ખરેખર કેવો ફાયદો થશે?
ગુજરાત માટે વર્ષ 2014 અનેક રીતે લાભદાયી બની રહ્યું છે. સૌપ્રથમ બાબત એ કે ગુજરાતના પોતીકા પુત્ર નરેન્દ્ર મોદી દેશના વડાપ્રદાન બન્યા છે. બીજું એ કે રાજ્યને આનંદીબેન પટેલના સ્વરૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા છે. ત્રીજી બાબત એ કે નર્મદા ડેમની ઊંચાઇ 138.68 મીટર કરવાની મંજુરી મળી ગઇ છે.
ગુજરાત માટે આ ખુશીના સમાચાર છે. છેલ્લા આઠ વર્ષથી અટવાઇ ગયેલી ગુજરાત સરકારની સૌથી મોટી મહત્વકાંક્ષી યોજના પર આખરે મંજૂરીની મહોર લાગી છે. દિલ્હી ખાતે મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે સરદાર સરોવર ડેમની ઉંચાઇ વધારવામાં આવે અને ડેમ પર દરવાજા મુકવામાં આવે.
દિલ્હી ખાતે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને બેઠક દરમિયાન ડેમ પર દરવાજા મુકવાની અને ડેમની ઉંચાઇ વધારવાની રાજ્ય સરકારની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતને ઘણો ફાયદો થઇ શકે તેમ છે. ત્યારે પ્રશ્ન એ છે કે ગુજરાતને કેવો અને કેટલો ફાયદો થશે. આ ફાયદા અંગેની વાસ્તવિકતા પર એક નજર ફરેવીએ...

કાર્ય 90 મહિનાથી સ્થગિત હતું
તત્કાદલિન કેન્દ્રમ સરકારની ગુજરાત વિરોધી નીતિને કારણે 90 માસથી સ્થતગિત થયેલા કામને ત્વરાએ શરૂ કરવામાં આવ્યું છે.

વધુ 6.8 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઇનું પાણી મળશે
બંધની ઉંચાઈ પુર્ણ જળાશય સ્તર (એફ.આર.એલ) સુધી એટલે 138.68 મીટરની થતાં કુલ પાણીનો જથ્થો વર્તમાન 1.27 મીલીયન એકર ફુટ થી વધીને 4.75 મિલીયન એકર ફુટ એટલે કે હાલની સંગ્રહશકિત કરતાં આશરે ત્રણ ગણો વધારે થશે. ૫રિણામે 6.8 લાખ હેકટર જેટલા વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણીનો લાભ મળી રહેશે. પ્રોજેક્ટના લીધે ગુજરાતના 17.92 લાખ હેક્ટર અને રાજસ્થાનના 2.45 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈના લાભ મળશે.

પીવાના પાણીની સુવિધા કેટલી વધશે?
આ વિસ્તારમાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર તથા રાજસ્થાનના બારમેર અને જાલોર જેવા રણવિસ્તાર અને પાણીની તંગીવાળા પ્રદેશોને આવરી લેવામાં આવશે. ગુજરાતના 135 શહેરી કેન્દ્રો અને 8215 ગામડાઓને તેમજ રાજસ્થાનના બે શહેરી કેન્દ્રો તથા 1107 ગામડાંઓને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.

વીજ ઉત્પાદનમાં કેટલો વધારો થશે?
ડેમની ઊંચાઇ વધવાથી વીજ ઉત્પાદનમાં 40 ટકા વધારો થશે. આ કારણે વાર્ષિક આશરે 150 કરોડ યુનિટ વીજ ઉત્પાદન વધશે. જેમાંથી ગુજરાતને વાર્ષિક 24 કરોડ યુનિટનો વીજ ઉત્પાદન ફાયદો થશે.

પૂર નિયંત્રણમાં કેવી રીતે સહાયક?
પીવાના તથા ઘરવપરાશના પાણી પુરવઠામાં વધારો થશે અને પૂર નિયંત્રણમાં અસરકારક લાભ થશે. આવનારા વર્ષો ઓછા વરસાદવાળા નિવડે તો પણ દુષ્કાળ અને પાણીની સમસ્યાના નિવારણ માટે સહાયરૂપ થશે.

ડેમના દરવાજા કેટલા મોટા હશે?
ડેમ પર મૂકવામાં આવનારા 30 મહાકાય દરવાજાનું વજન 13 હજાર મેટ્રીક ટન જેટલું છે. 30 પૈકી 23 દરવાજાનું કદ 18.30X16.76 મીટર્સ અને બાકીના 7 દરવાજાનું કદ 18.30X18.30 મીટર્સનું રહેશે.

કેટલો માલ સામાન વપરાશે?
બાંધકામ 36 મહિનાના ટૂંકાગાળામાં (30 કામના મહિના)માં રૂ. 270 કરોડના ખર્ચે મુખ્ય બંધના ઇજારદાર દ્રારા પૂર્ણ કરવામાં આવશે. જેમાં 11000 ટન રેઇન્સફોર્સમેન્ટ સ્ટીલ સાથે 120000 ધન મીટર કોંન્ક્રીટ કામ કરી સ્પીલ વે પીયર્સનું કામ દરવાજા એમ્બેડેડ ભાગો સાથે પૂર્ણ ઉંચાઇ સુધી અને 13000 ટન વજનના 30 રેડીયલ ગેટ ઉભા કરાશે.

પ્લાન જૂન 2005માં પૂરો કરવાનો હતો
સુપ્રિમ કોર્ટે તેના તારીખ 18 ઓક્ટોબર, 2000ના ચુકાદામાં, નર્મદા કંટ્રોલ ઓથોરીટીને નર્મદા યોજના વહેલી તકે પૂર્ણ થાય તે માટે એક એક્શન પ્લાન ઘડવા માટે નિર્દેશ આપ્યો હતો. આ ચુકાદાને ઘ્યાનમાં રાખી નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્રારા વિસ્તૃત એક્શન પ્લાન નક્કી કરવામાં આવ્યો હતો. તે મુજબ સરદાર સરોવર બંધના 138.68 મીટર સુધીના બાંધકામ જૂન, 2005માં પૂર્ણ કરવાનું આયોજન હતું.

પ્લાનમાં વિલંબથી યોજનાનું કદ વધ્યું
આ નિર્ણય લેવામાં કરેલા વિલંબને કારણે ગુજરાતને પ્રતિદિન આશરે રૂપિયા 10.38 કરોડનું નુકશાન પણ થઈ રહ્યું હતું. અત્યાર સુધીમાં આશરે રૂપિયા 45,500 કરોડ એટલે કે યોજનાના અંદાજીત ખર્ચથી પણ વધુ નુકશાન થયું છે.












Click it and Unblock the Notifications
