શું છે સરદાર પટેલનું સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને તેને નિહાળવા કેટલો થશે ખર્ચ?
શું છે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને તેને નિહાળવા કેટલો થશે ખર્ચ?
આઝાદીના લડવૈયા અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તેમજ ગૃહપ્રધાન લોખંડી પુરુષ સરદાર પટેલની 182 મીટર ઉંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે 31 ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના નામે ચૂંટણીની વૈતરણી પાર કરવાના ઇરાદા સાથે ભાજપ દ્વારા ઠેર ઠેર એકતા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે, ખરેખર સવાલ થાય કે, આ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી શું છે અને તેના નિર્માણ પાછળ કેટલો ખર્ચ થયો હશે.
દેશભરમાંથી ઉઘરાવ્યું હતું લોખંડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત લોકસભાની ચૂંટણી પહેલાં કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની વિશાળકાય પ્રતિમા મુકવાની જાહેરાત કરી હતી. સરદાર પટેલની મૂર્તિના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી ભાજપ દ્વારા લોખંડ ઉઘરાવવામાં આવ્યું હતું અને તેના નામે માહોલ બનાવીને ભાજપે લોકસભામાં જીત મેળવી લીધી હતી.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું નિર્માણ ચીનમાં કરાયું
આ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને બનાવવા માટે 3 હજાર કરોડથી વધુનો ખર્ચ થયાનો અંદાજ છે. આ સમગ્ર પ્રતિમા બનાવવા માટે એલ એન્ડ ટી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે પ્રતિમાનું નિર્માણ ચીનમાં કરવામાં આવ્યું છે. 5700 મેટ્રીક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18,500 મેટ્રીક ટન રિઇનફોર્સમેન્ટ બાર્સનો આ પ્રતિમા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. 550 બ્રોન્ઝ પ્લેટ ચીનથી મંગાવવામાં આવી છે. જે સમગ્ર પ્રતિમાના નિર્માણમાં વાપરવામાં આવી છે. આ પ્રતિમાની શોભા વધારવા માટે લેઝર લાઇટીંગ કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની અંદર બે લિફ્ટ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં 132 મીટરની ઉંચાઇ પર તૈયાર થયેલ ગેલેરી સુધી જઇ શકાશે. જેના કારણે, આ ગેલેરીમાંથી બહારનો નજારો નિહાળી શકાશે. ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં એક મ્યૂઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સરદાર પટેલ વિશે ડિઝીટલ માહિતી મળી શકશે.
ફ્લાવર ઓફ વેલી પણ આકર્ષણનું કેન્દ્ર
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને નિહાળવા માટે વિશ્વભરના ટૂરિસ્ટો પણ આવશે. તેના કારણે આ સ્થળ ટૂરિસ્ટ સ્પોટ તરીકે પણ વિકાસ પામશે. આ માટે મૂર્તિના ત્રણ કિલોમીટરમાં ટેન્ટ સિટી વિકસાવવામાં આવ્યું છે. જ્યાં, રાતભર રોકાઇ શકાશે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે ફ્લાવર ઓફ વેલી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહી 240 હેક્ટર વિસ્તારમાં રંગબેરંગી ફુલોની ગેલેરી તૈયાર કરવામાં આવી છે. આ નજારો પણ નયનરમ્ય છે. આ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને વિકસાવવા અનેક આદિવાસી ગામોને ખાલી કરવામાં આવ્યા છે. તેમજ અનેક પરિવારોનું વિસ્થાપન પણ કરાયું છે.
500 રૂપિયા સરદાર પટેલની વિશાળ પ્રતિમા નિહાળવાનો ખર્ચ
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું નિર્માણ 42 મહિનાના ટૂંકા ગાળામાં પુર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમા અંદાજીત 20 હજાર ચોરસ મીટરના ઘેરાવામાં પથરાયેલી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના નિર્માણ પાછળ 1347 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે, 235 કરોડ એક્ઝિબિશન હોલ પાછળ ખર્ચ ડકરવામાં આવ્યા છે. સારસંભાળ અને અન્ય ભૌતિક સગવડ વિકસાવવા માટે 700 કરોડ ખર્ચાશે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના નિર્માણ પાછળ 3400 જેટલા મજૂરો અને 250થી વધારે ઇજનેરોની મહેનત અને ચીન તેમજ ભારતીય કંપનીના સંયુક્ત પ્રયાસથી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ત્યારે, આ પ્રતિમા નિહાળવાનો ખર્ચ વ્યક્તિ દીઠ 500 રૂપિયા જેટલો થશે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નિહાળવાની ફી ત્રણ પ્રકારે લેવામાં આવશે. છેક પ્રતિમા સુધી જવા માટે ખાનગી વાહનોને પરવાનગી નથી. ત્યાં પાર્કિંગની સુવિધાનો અભાવ હોવાના કારણે ત્યાં જવા માટે 30 રૂપિયા બસ ટિકિટ ભાડું લેવામાં આવશે. ઉપરાંત એન્ટ્રી ટિકિટના 120 રૂપિયા વસુલવામાં આવશે. 12 વર્ષથી નાના પ્રવાસી માટે એન્ટ્રી ટિકિટના 60 રૂપીયા વસુલવામાં આવશે. જ્યારે, વ્યૂઇંગ ગેલેરી જોવાનો ખર્ચ 350 રૂપીયા છે. એટલે કે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નિહાળવા વ્યક્તિ દીઠ 500 રૂપિયા ખર્ચ કરવાનો રહેશે. જ્યાં તમે બહારની વ્યૂઇંગ ગેલેરીમાંથી બહારનો નજારો અને અંદરનું મ્યૂઝિયમ નિહાળી શકાશે.
કોંગ્રેસ વિધાયકનું વિવાદિત નિવેદન, મોદીને કહ્યા 'ડેન્ગ્યુ મચ્છર'