જામનગર-રાજકોટમાં કેવી છે સ્થિતિ? ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી
જામનગર-રાજકોટમાં કેવી છે સ્થિતિ? ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી
છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મેઘરાજાએ હાલ વિરામ લીધો છે. જામનગર અને રાજકોટમાં વરસાદે વિરામ લેતાં પાણી ઓસર્યાં છે. જોકે, ગામ્ય વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગરસ્થિત બીબીસીના સહયોગી પત્રકાર દર્શન ઠક્કરના જણાવ્યા અનુસાર જામનગરમાં આજના દિવસે વરસાદ નથી પડ્યો પણ ગામડાંની સ્થિતિ વિકટ છે.
ઠક્કર જણાવે છે, "જિલ્લાનાં ગામોમાં હજુ વીજળી નથી. લોકોનું અનાજ પલળી ગયું છે. પીવાના પાણી માટે લોકોને હાલાકી પડી રહી છે. ઠેરઠેર મરેલાં પશુઓ પડ્યાં છે. પલલી ગયેલા અનાજને લોકોએ ફેંકી દેવાનો વારો આવ્યો છે."
રાજકોટમાં પણ વરસાદે વિરામ લીધો હોવાનું સ્થાનિક પત્રકાર બિપિન ટંકારિયાએ જણાવ્યું છે.
જામનગર અને રાજકોટના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની સ્થિતિ બાદ હવે જૂનાગઢ જિલ્લાની સ્થિતિ કફોડી બની રહી છે.
https://www.youtube.com/watch?v=tIkNOw4F3-A
જૂનાગઢમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણાં ગામોમાં 4-5 ફૂટ પાણી ઘૂસી ગયાં છે અને કેટલાંક ગામો સંપર્કવિહોણા બની જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
લોકોનાં ઢોરઢાંખર અને ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યુ છે. રોડ-રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા વાહન-વ્યવહાર ઠપ્પ છે અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં છે.
પોરબંદરના ઘેડમાં હજુ પણ ગામો પાણીમાં તરબોળ છે. પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે તથા વીજપુરવઠો બંધ હોવાનું બીબીસીના સહયોગી પત્રકાર વિપુલ ઠક્કરે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું, "હવે આજે વરસાદ અતિશય નથી પરંતુ ઉપવાસનું પાણી કુતિયાણા ઘેડમાં ઘૂસી આવે છે. છેલ્લાં 50 વર્ષોથી આ સમસ્યા છે એટલે ખેડૂતો પણ દિવાણી પછી જ પાક લેવાનું આયોજન રાખે છે."
જામનગર, જૂનાગઢ અને રાજકોટના કેટલાક તાલુકાઓમાં ગતરોજ થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.
વહીવટીતંત્રેએ તેનો સરવે કરાવવાની પણ વાત કહી છે.
બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં અડધો ઇંચ, સુરતના ઓલપાડમાં 17 મિમી, સુરતના ચોર્યાશીમાં 14 મિમી, તાપીના ઉચ્છલમાં 7 મિમી વરસાદ પડ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો 197 તાલુકામાં વરસાદ પડ્યો છે.
તેમાં સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં 6.4 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢના કેશોદમાં 5 ઇંચ, જૂનાગઢ, વંથલીમાં 4 ઇંચ ઉપરાંત રાજકોટના જામકંડોરણા અને જામનગરના જામજોધપુરમાં 3.5 ઇંચ અને સુરતના મહુવા અને છોટાઉદેપુરમાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે.
વરસાદ આગાહી
https://www.youtube.com/watch?v=lqZDcXU1PxY
દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે.
સૌરાષ્ટ્રમાં આજે હવામાન વિભાગ તરફથી રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના પંથકમાં અતિભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. 16 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર, અરવલ્લી, આણંદ, ખેડા, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં 20 એનડીઆરેફની ટીમ તહેનાત કરાઈ છે
ગુજરાતમાં વરસાદને પગલે એનડીઆરએફની 20 ટીમો તહેનાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 15 ટીમો કામગીરી કરી રહી છે.
ગાંધીનગર અને વડોદરામાં 1-1 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એનડીઆરએફ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહીશોને સુરક્ષિત સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે.
એનડીઆરએફની વધુ પાંચ ટીમોને રાજકોટ, પોરબંદર અને અન્ય વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે.
અમરેલીના જાફરાબાદમાં ખેડૂતોને દરિયો ન ખેડવાની ચેતવણી યથાવત્ રખાઈ છે.
સૌરાષ્ટ્રમાં 80 ટકા વરસાદ
https://www.youtube.com/watch?v=GH-H3HkkkG0
સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિઝનની કુલ જરૂરિયાતના 80 ટકા વરસાદ પડી ગયો છે. આ વિસ્તારની 701 મિમીની સરેરાશ સામે અત્યાર સુધી 564 મિમી વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 98%, રાજકોટમાં 97%, જામનગરમાં 96%, પોરબંદરમાં 96%, જૂનાગઢમાં 92% વરસાદ પડી ગયો છે અને આગામી દિવસોમાં ત્યાં સિઝનનો પૂરેપૂરો વરસાદ થઈ જવાની શક્યતા છે.
જ્યારે અમરેલીમાં 74%, મોરબીમાં 72%, ગીરસોમનાથમાં 72%, બોટાદમાં 70%, ભાવનગરમાં 69% અને સુરેન્દ્રનગરમાં 53% વરસાદ પડ્યો છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો