*ધરી નહીં છોડે નરેન્દ્ર મોદી *પડછાયો હશે નવા મુખ્યમંત્રી
અમદાવાદ, 14 મે : હૅડિંગ વાંચીને ચોંકી ગયા ને? ગુજરાતમાં નથી કોઈ રાજકીય અસ્થિરતા કે નથી કોઈ મુખ્યમંત્રીએ અચાનક રાજીનામુ ધર્યું કે જેથી રખેવાળ મુખ્યમંત્રીની જરૂર ઊભી થાય. આમ છતાં હૅડિંગ તો કંઇક આવુ જ કહે છે કે ગુજરાતમાં હાલમાં જે નવા મુખ્યમંત્રીની ચર્ચાઓ ચાલી રહી છે, તે નવા મુખ્યમંત્રી માત્ર એક રખેવાળ મુખ્યમંત્રી જ રહેશે.
સામાન્ય રીતે જ્યારે રખેવાળ મુખ્યમંત્રીની જરૂરિયાત મુખ્યત્વે આવા પ્રસંગોએ ઊભી થાય છે. જેમ કે વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોઈ પક્ષને બહુમતી ન મળી હોય અને નવા મુખ્યમંત્રી બનવામાં સમય લાગતો હોય, ત્યારે ચાલુ મુખ્યમંત્રીને રાજ્યપાલ રખેવાળ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવા કહેતાં હોય છે. બીજું, જ્યારે કોઈ ચાલુ મુખ્યમંત્રીનું આકસ્મિક નિધન થઈ ગયું હોય, ત્યારે પણ કોઈ એક ધારાસભ્ય કે કોઈ પણ નેતાને રાજ્યપાલ રખેવાળ મુખ્યમંત્રી તરીકે નિમણુંક કરી દેતા હોય છે.
પરંતુ ગુજરાતમાં હાલ તો એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી. હા, હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે અને તેના કારણે રાજ્યમાં નવા મુખ્યમંત્રીની નિમણુંક થવાની છે, પરંતુ તેમાં રાજકીય અસ્થિરતા જેવુ કોઈ કારણ નથી અને જે કોઈ નવા મુખ્યમંત્રી બનશે, તે ધારાસભ્યોની પસંદગીથી જ બનવાનાં છે. આમ છતાં ગુજરાતમાં 15મા મુખ્યમંત્રી રખેવાળ મુખ્યમંત્રી કેમ ગણાશે?
ચાલો તસવીરો સાથે ફોડ પાડીએ :
મુખ્યમંત્રી બદલાવાથી થશે સત્તાનું હસ્તાંતરણ?
ગુજરાતને થોડાક જ દિવસોમાં નવા મુખ્યમંત્રી મળવાનાં છે. એક બાજુ કેન્દ્રમાં નવી સરકાર રચાતી હશે અને બીજી બાજુ ગુજરાતમાં પણ વર્તમાન ભાજપ સરકારના નવા મુખ્યમંત્રી હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતા પહેલા ગુજરાતનું મુખ્યમંત્રી પદ છોડશે અને તેમના સ્થાને કોઈ નવા ધારાસભ્ય મુખ્યમંત્રી બનશે, પરંતુ માત્ર ખુરશી બદલાતા ગુજરાતમાં સત્તાના સુકાનનું હસ્તાંતરણ થઈ શકશે ખરૂં?
ઘણા નામો ચર્ચામાં
નરેન્દ્ર મોદી ગુજરાતના 14મા મુખ્યમંત્રી હતાં અને હાલમાં ગાંધીનગરથી લઈ નવી દિલ્હી સુધી સૌથી મહત્વના ચર્ચિત મુદ્દાઓમાં ગુજરાતના 15મા મુખ્યમંત્રીનો મુદ્દો પણ છે. ગુજરાતમાં 15મા મુખ્યમંત્રી તરીકે જેમના નામો સૌથી વધુ ચર્ચામાં છે, તેમાં ભીખુભાઈ દલસાણિયા, આનંદીબેન પટેલ, અમિત શાહ, નિતિન પટેલનો સમાવેશ થાય છે, પરંતુ આ રેસમાં સૌથી આગળ છે આનંદીબેન પટેલ.
ધરી નહીં છોડે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી આજે જે કંઈ છે કે બનવા જઈ રહ્યાં છે, તેની પાછળ સૌથી મોટો ફાળો કોનો છે? એક વ્યક્તિ તરીકે નહીં, પણ એક રાજ્ય તરીકે ગુજરાત જ નરેન્દ્ર મોદીનું સૌથી મોટુ પીઠબળ છે. ગુજરાતે જ તેમને એક વખત નહીં, પણ ત્રણ-ત્રણ વખત મુખ્યમંત્રી ન ચૂંટ્યા હોત, તો મોદી આજે વડાપ્રધાન પદને યોગ્ય ન મનાઈ શક્યા હોત. તેથી જ ચોક્કસ કહી શકાય કે દેશના રાજકારણની ધરી બનનાર નરેન્દ્ર મોદીની ધરી ગુજરાત છે અને તેથી વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્ર મોદી પોતાની ધરિ નહીં છોડે.
મોદીનો પડછાયો હશે નવા મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી પોતાના મૂળિયાને વળગી રહેશે અને એટલે જ જે ગુજરાત મૉડેલના આધારે તેઓ દેશના વડાપ્રધાન પદે પહોંચી રહ્યાં છે, તે ગુજરાતને રેઢુ નહીં મૂકે. મોદી ચોક્કસ ગુજરાત મૉડેલને આગળ વધારશે અને ગુજરાતના વિકાસમાં પોતાનો ફાળો ચાલુ રાખશે. તેઓ વડાપ્રધાન બનવા છતાં ગુજરાતનું વિકાસ પોતાની આગવી શૈલીમાં કરવા માંગશે અને તેથી જ નવા મુખ્યમંત્રીએ મોદીના મૉડેલ પર ચાલવું પડશે. આમ કહી શકાય કે નવા મુખ્યમંત્રીએ મોદીનો પડછાયો બની રહેવું પડશે.
ભાવિ રણનીતિ
નરેન્દ્ર મોદીના ગુજરાતની ધરી પકડી રાખવાનું બીજુ પણ એક કારણ છે. લોકસભા ચૂંટણી બાદ 2015માં ગુજરાતમાં છ મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ આવશે. આ એ જ નરેન્દ્ર મોદી છે કે જેઓ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચારમાં ઉતર્યા હતાં. તેવું કરનાર તેઓ પહેલા મુખ્યમંત્રી હતાં. નરેન્દ્ર મોદી ગુજરાતની ધરીને વળગી ન રહે, તો વિપક્ષને તક મળી જાય અને મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં તેની સીધી અસર થાય. આમ મોદી પોતાની ભાવિ રણનીતિને નવા મુખ્યમંત્રી દ્વારા જ લાગુ કરશે.
ગાંધીનગરની સત્તા પણ લક્ષ્ય
નરેન્દ્ર મોદી ગુજરાતની ધરી છોડી નહીં શકે, કારણ કે ગુજરાતમાં 2017માં ફરીથી વિધાનસભા ચૂંટણીઓ આવશે. જો નરેન્દ્ર મોદી કેન્દ્રના રાજકારણમાં વ્યસ્ત થઈ ગુજરાતને ભુલી જાય કે આઘાપાછા થાય, તો કોંગ્રેસ આ મુદ્દાને જોરશોરથી ચગાવે અને ગુજરાતમાં 1995થી સતત બહુમતી મેળવતા ભાજપ માટે 2017ની ચૂંટણી કપરા ચઢાણ બની જાય. તેથી મોદી ગુજરાતમાં એવા મુખ્યમંત્રીને મૂકશે કે જે તેમના કહ્યાગરા હોય અને તેમના મૉડેલને આગળ ધપાવી શકે કે જેથી ગુજરાતમાં તેઓ છવાયેલા રહે અને પક્ષને ફાયદો થાય.
ગુજરાતી તરીકે પણ જરૂરી
રાજકીય કારણોને બાજુએ મૂકીએ, તો એક ગુજરાતી તરીકે પણ નરેન્દ્ર મોદીની ફરજમાંથી ગુજરાત બાકાત થઈ શકે એમ નથી. નરેન્દ્ર મોદીને ગુજરાતમાં એક ગુજરાતી પીએમ તરીકે રજૂ કરવામાં આવ્યાં. એટલુ જ નહીં, મોદી વડોદરામાંથી ચૂંટણી પણ લડ્યાં છે અને તેઓ જીતશે તે પણ નક્કી છે. જોકે રાજકીય મજબૂરીના કારણે ભલે તેઓ વડોદરા બેઠક ઉપરથી રાજીનામુ આપી દે, પરંતુ એક ગુજરાતી તરીકે તેમણે ગુજરાતને પ્રાધાન્ય આપી ગુજરાતનું ઋણ ચુકવવું જ પડશે અને એવું કરવા માટે પણ મોદીને ગુજરાતમાં પોતાના પડખાયા જેવા મુખ્યમંત્રીની જરૂર પડશે અને મોદી એવી જ વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરશે.