આરુષિ હત્યાકાંડ: તલવાર દંપતિના નિર્દોષ છૂટવા પાછળના 4 કારણો
ગુરૂવારે અલ્હાબાહ હાઇકોર્ટે આરુષિ હત્યાકાંડ મામલે ચૂકાદો આપતાં આરોપી દંપતિ રાજેશ અને નુપૂર તલવારને નિર્દોષ જાહેર કર્યા હતા. સીબીઆઈ કોર્ટ દ્વારા તેમને દોષી ઠરાવતા ઉંમરકેદની સજા થઇ હતી.
વર્ષ 2008માં થયેલ બહુચર્ચિત આરુષિ-હેમરાજ હત્યાંકાંજમાં અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા ગુરૂવારે મોટો નિર્ણય આપવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલામાં આરુષિના માતા-પિતાને નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણય બાદ ગાઝિયાબાદની ડાસના જેલમાં બંધ તલવાર દંપતિને ટૂંક સમયમાં જ મુક્તિ મળશે. આરુષિના માતા-પિતા ડૉ.રાજેશ તલવાર અને નુપુર તલવારે કોર્ટમાં દાખલ કરેલ અરજીને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીઆઇ કોર્ટના નિર્ણયમાં પરિવર્તન કરતા હાઇકોર્ટે તલવાર દંપતિને મોટી રાહત આપતા તેમની ઉંમરકેદની સજા પણ રદ્દ કરી હતી. કોર્ટ દ્વારા કયા કારણોને આધારભૂત માનતા આ નિર્ણય લેવામાં આવ્યો? વાંચો અહીં...
પુરાવાનો અભાવ
2008ના આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં પુરાવાના અભાવને ધ્યાનમાં રાખતા નુપૂર અને રાજેશને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, તલવાર દંપતિને દોષી ઠેરવવા માટે પૂરતા પુરાવાનો અભાવ છે. પરિસ્થિતિજન્ય સાક્ષ્યોના આધારે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટ અનુસાર, સીબીઆઇ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવઓ પૂરતા નહોતા.
તપાસમાં અનેક ખામીઓ
નોયડા જલવાયુ વિહારમાં થયેલ આરુષિની હત્યાના મામલાની તપાસમાં કેટલીક ખામીઓ હોવાનું કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે, આરુષિ અને હેમરાજની હત્યા થઇ, તે સમયે ઘરમાં સભ્યો હાજર હતા. 4માંથી બે લોકોની હત્યા થતાં, જીવતા રહેલ અન્ય બે લોકોને હત્યારા કઇ રીતે કહી શકાય? આથી આરુષિના માતા-પિતાએ જ આરુષિ અને હેમરાજની હત્યા કરી છે, એ સાબિત કરવા માટે આ દલીલ પૂરતી નથી.
શંકાનો લાભ(બેનિફિટ ઓફ ડાઉટ) મળવો જોઇએ
અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે, આ મામલે પૂરતા પુરાવાઓ નથી, આથી શંકાનો લાભ મળવો જોઇએ. નીચલી અદાલતમાં કહેવામાં આવ્યું હતું કે, આ મામલાના આરોપી આરુષિના માતા-પિતાને શંકાનો લાભ ન જ આપી શકાય, એ વાતને અલ્હાબાદ હાઇકોર્ટે નકારી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ મામલે મળેલ પુરાવાઓ અધૂરા છે, આથી શંકાનો લાભ મળવો જોઇએ.
પરિસ્થિતિજન્ય પુરાવાઓનો અભાવ
નીચલી અદાલતમાં કહેવામાં આવ્યું હતું કે, જે ફ્લેટમાં આરુષિની હત્યા થઇ, તે અંદરથી બંધ હતો. આથી કોઇ બહારનું વ્યક્તિ ફ્લેટમાં દાખલ થઇ શકે એમ નહોતું. પરંતુ અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે, અમે એ વાત ન માની શકીએ કે, ઘર અંદરથી બંધ હોવાથી કોઇ બહારનું વ્યક્તિ ઘરમાં પ્રવેશ ન કરી શકે. આમ પરિસ્થિતિજન્ય પુરાવાઓને કારણે તલવાર દંપતિને રાહત આપવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, ઘરના જ કોઇ સભ્યએ આરુષિ-હેમરાજની હત્યા કરી હોય એ જરૂરી નથી. પુરાવાઓના અભાવને આધારે કહી શકાય કે, હત્યા કોઇ અન્યએ પણ કરી હોઇ શકે છે. આથી આ વાતનો લાભ આરુષિના માતા-પિતાને આપતા તેમને દોષી ન ઠેરવી શકાય.