નવી દિલ્હી, 7 મે: લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આ વખતે પોતાના જ ગઢમાં જોરદાર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી જે અમેઠીથી રાહુલ ગાંધી સરળતાથી જીત મેળવી લેતા હતા હવે તેમને ત્યાંથી હારવાનો ભય સતાવવા લાગ્યો છે.
રાહુલની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસ અને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઇરાણી પહાડ બનીને ઉભી થઇ ગઇ છે. આ બંનેએ કોંગ્રેસના યુવરાજ માટે સરળ જીતનો માર્ગ સાંકળો કરી દીધો છે. એવામાં તેમની સામે મોટો પડકાર એ છે કે જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી જશે તો તેમના નેતૃત્વ પર સવાલો ઉઠશે અને તેમનું રાજનૈતિક કરિયર પણ ખતમ થઇ શકે છે. જોકે શક્યતા ઓછી લાગે છે પરંતુ રાજકારણમાં કયું પાસું ક્યારે પલટી જાય તે કહેવું મુશ્કેલ છે. આપને એ ત્રણ કારણોથી રૂબરૂ કરાવીએ છીએ જે કારણે રાહુલની અમેઠીમાં જીતની કડી તૂટી શકે છે.
આ પહેલા 2009ના લોકસભા ચૂંટણીને જોઇએ તો રાહુલને લગભગ 72 ટકા વોટ મળ્યા હતા. આ વખતે જ્યારે પડકારો સામે છે ત્યારે રાહુલની નજર અમેઠીની 1.5 લાખ મુસ્લિમ વોટરો પર છે. ભાજપની છોડો પરંતુ આ વોટબેંક આમ આદમી પાર્ટી તરફ વળી જશે તો રાહુલ ગાંધી માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
રાહુલ માટે પ્રચારમાં ઉતરેલી બહેન પ્રિયંકા ગાંધી પણ અમેઠીની જનતાને કંઇ ખાસ ખુશ નથી કરી શકી. તેમની સભાઓમાં ખાલી પડેલી ખુર્શીઓ એવાતની સાક્ષી છે કે લોકો તેમનાથી નારાજ છે. એવામાં જો અમેઠીની જનતાએ વોટિંગથી પોતાની શક્તિનું પ્રદર્શન કરી દીધું તો રાહુલનું કરિયર ખત્મ થઇ શકે છે. જો રાહુલ ગાંધી અમેઠીની બેઠક ના બચાવી શક્યા તો પાર્ટીમાં તેમની શાખ ખત્મ થઇ જશે.