મધ્યપ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણ માટે 3 વર્ષની જેલ અને દંડ
હવે રાજ્યમાં ધર્માંતરણ કરતા પહેલા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી ફરજિયાત બનાવી દેવામાં આવી છે. રાજ્ય વિધાનસભામાં બુધવારે સર્વસંમતિથી આ કાયદામાં સુધારાને મંજૂરી આપી દેવામાં આવી હતી. રાજ્યનો ખ્રિસ્તી સમુદાય સરકારના આ નિર્ણયથી નારાજ છે. તેનું કહેવું છે કે આ વ્યક્તિની ધાર્મિક સ્વતંત્રતાનું હનન છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ સરકારે વર્ષ 2006માં એક વાર ધર્માંતરણ વિરોધી બિલમાં સંશોધન કર્યું હતું.જો કે રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી ન હતી. હવે લગભગ સાત વર્ષ પછી ફરી લાવવામાં આવેલું સુધારેલું બિલ પહેલા કરતા પણ વધારે કડક છે. રાજ્યના ગૃહ મંત્રી ઉમાશંકર ગુપ્તાએ જણાવ્યું કે અમે ધર્માંતરણ અંગેનો નવો સુધારેલો કાયદો ગુજરાત રાજ્યના કાયદા મુજબ તૈયાર કર્યો છે. ગુજરાતમાં આ કાયદો ઘણા વર્ષથી અમલી છે.
નવા સુધારા અનુસાર બળજબરીથી ધર્માંતરણ કરાવનારને ત્રણ વર્ષની જેલની સજા અને રૂપિયા 50,000ના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે મહિલા, અનુસૂચિત જાતિ, જનજાતિના કિસ્સામાં જેલની સજા વધારીને ચાર વર્ષ અને દંડની રકમ વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં 45 વર્ષ જુના ધર્મ સ્વાતંત્ર્ય કાયદા 1968 અનુસાર ધર્મપરિવર્તન માટે મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાની જરૂર ન હતી. ધર્મ પરિવર્તન બાદ એક મહિનાની અંદર સત્તાધીશોને જાણ કરવાની રહેતી હતી. હવે ધર્મ પરિવર્તન કરનારાની સાથે ધર્મ પરિવર્તન કરાવનારા ધાર્મિક પુરોહિતોએ પણ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડશે.