74th Republic Day : વીરતા પુરસ્કારોની જાહેરાત કરાઈ, મેજર શુભાંગને કિર્તી ચક્ર
74માં પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. ડોગરા રેજિમેન્ટના મેજર શુભાંગને બહાદુરી માટે કિર્તી ચક્રથી સન્માનિત કરાયા છે.
નવી દિલ્હી : ભારત તેના 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળોના જવાનો અને અન્ય માટે 412 વીરતા પુરસ્કારો અને અન્ય સંરક્ષણ પુરસ્કારોને મંજૂર આપી છે. આ પુરસ્કારોમાં ચાર મરણોત્તર સહિત છ કીર્તિ ચક્ર સામેલ છે. આ સિવાય બે મરણોત્તર સહિત 15 શૌર્ય ચક્રની જાહેરાત કરાઈ છે.
પુરસ્કારો પર નજર કરીએ તો, ડોગરા રેજિમેન્ટના મેજર શુભાંગને જમ્મુ અને કાશ્મીરના બડગામમાં એપ્રિલ 2022ના રોજ એક ઓપરેશનમાં બહાદુરી બદલ બીજા સૌથી મોટા સન્માન કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા છે. તેમણે સેનાના ઓપરેશનમાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો.
મેજર શુભાંગે બહાદુરી દેખાડતા એક ઘાયલ અધિકારી અને બે ઘાયલ જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ડાબા ખભા પર ગોળી વાગ્યા બાદ પણ તેમણે બહાદુરી દેખાડી હતી. મેજર શુભાંગ સિવાય જિતેન્દ્ર સિંહને કીર્તિ ચક્રથી સન્માિત કરાશે.
આગળ વાત કરીએ તો, ભારતીય કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ વીરેન્દ્ર સિંહ પઠાનિયાને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરાયો છે. આ વર્ષે કુલ 29 સેવા આપતા અને નિવૃત્ત અધિકારીઓને તેમની વિશિષ્ટ સેવાઓ બદલ PVSM એનાયત કરાયા છે.
આ સિવાય ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અમરદીપ સિંહ ઔજલાને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એનાયત કરાયો છે. 3 કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.કે. તિવારી અને 14 કોર્પ્સ ચીફ લેફ્ટનન્ટ જનરલ એ.કે. સેનગુપ્તાને પણ UYSM થી સન્માનિત કરાયા છે.
આ વખતે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના બ્રિગેડિયર સંજય મિશ્રાને અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્રણેય સેનાથી કુલ 52 અધિકારીઓને આ વર્ષે અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.