8 સિમી આતંકવાદી ભોપાલની જેલ છોડી ફરાર, મોટા હુમલાની આશંકા
રાત્રે આશરે 2 વાગે એક હેડ કોંસ્ટેબલની હત્યા કરી 8 આતંકવાદીઓએ ચાદરોને જોડીને રસ્સી બનાવી અને જેલની દિવાલ કૂદી ફરાર થઇ ગયા...
રવિવારે રાત્રે ભોપાલની સેંટ્રલ જેલમાંથી 8 આતંકવાદી ફરાર થઇ ગયા છે. તેમણે ભાગતા પહેલા એક હેડ કોંસ્ટેબલની હત્યા પણ કરી દીધી છે.આ આઠેય આતંકવાદી પ્રતિબંધિત સ્ટુડંટસ ઇસ્લામિક મુવમેંટ ઑફ ઇંડિયા એટલે કે સિમી સંગઠનના છે.
આ આતંકવાદીઓએ રાત્રે આશરે 2 વાગે હેડ કોંસ્ટેબલ રામા શંકરની હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ ચાકૂથી રામા શંકરનું ગળુ કાપી નાખ્યુ હતુ. હેડ કોંસ્ટેબલની હત્યા બાદ આતંકવાદીઓ ચાદરો જોડીને રસ્સી બનાવી અને જેલની દિવાલ કૂદીને ફરાર થઇ ગયા. પોતાની આ યોજનાને અંજામ આપવા માટે આતંક્વાદીઓએ દિવાળીની રાત પસંદ કરી હતી. આતંક્વાદીઓએ દિવાળીની રાતને એટલા માટે પસંદ કરી કારણકે દિવાળીની રાત્રે લોકો ફટાકડા ફોડતા હોય અને ફટાકડાના અવાજમાં તેમના ભાગવાનો અવાજ કોઇને સંભળાય નહિ.
ફરાર થયેલા આતંકવાદીઓ પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો હતો. મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે આતંકવાદીઓ ભાગવામાં સફળ કેવી રીતે થયા તેની તપાસ કરવામાં આવશે. તેમણે આ 8 આતંકવાદીઓના ભાગી ગયા બાદ આખા પ્રદેશમાં એલર્ટ જારી કર્યુ છે. સાથે જ દેશના બીજા રાજ્યોમાં પણ આની સૂચના આપી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે કોઇ મોટા હુમલાને અંજામ આપવા માટે આતંકવાદીઓ ભાગ્યા હોઇ શકે છે.
મધ્યપ્રદેશમાં આવી ઘટના બીજી વાર બની છે. આ પહેલા પણ એક વાર સિમીના 10 આતંકવાદી ભોપાલ જેલમાંથી ફરાર થઇ ગયા હતા. આમાંથી 5 ને તરત જ ઝડપી લેવામાં આવ્યા હતા પરંતુ બાકીના 5 આતંકવાદી ભાગવામાં સફળ રહ્યા હતા. સ્ટુડંટસ ઇસ્લામિક મુવમેંટ ઑફ ઇંડિયા (સિમી) એક પ્રતિબંધિત સંગઠનં છે, જેની શરુઆત 1977 માં ઉત્તરપ્રદેશના અલીગઢમાં થઇ હતી.