અમેરિકામાં રહેતા 80 હજાર ભારતીયોની નોકરી ગઈ, હવે દેશ પરત ફરવુ પડી શકે છે
ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં કામ કરતા આ ભારતીયોને હવે છટણીને કારણે નોકરી ગુમાવવી પડી છે. અહીં રહેતા ભારતીયોને નોકરી જતા હવે અમેરિકા છોડવાની નોબત આવી શકે છે.
નવી દિલ્હી : હાલ દુનિયાભરની મોટી ટેક કંપનીઓમાંથી એક પછી એક કર્મચારીઓને છુટા કરવાની ખબરો આવી રહી છે. ટેક કંપનીઓને મંદીની આશંકા દેખાઈ રહી છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓની છટ્ટણી કરી રહી છે ત્યારે હવે અમેરિકામાં વસતા ભારતીયો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવે અમેરિકામાં વસતા ભારતીયોને મોટી સમસ્યા ઉભી થઈ રહી છે.
મોટી સંખ્યામાં ભારતીયો હાલ અમેરિકામાં રહે છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં કામ કરતા આ ભારતીયોને હવે છટણીને કારણે નોકરી ગુમાવવી પડી છે. અહીં રહેતા ભારતીયોને નોકરી જતા હવે અમેરિકા છોડવાની નોબત આવી શકે છે. હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ હવે યુએસમાં રહેવા વર્ક વિઝા હેઠળ નવી નોકરી શોધવા મજબુર બન્યા છે.
હાલમાં જ ઘણી કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે ત્યારે ધ વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ અનુસાર, ગયા વર્ષે નવેમ્બરથી લગભગ 2 લાખ આઈટી કર્મચારીઓની નોકરી ગઈ છે. આમાંથી મોટાભાગના ગૂગલ, માઈક્રોસોફ્ટ, ફેસબુક અને એમેઝોન જેવી મોટી કંપનીઓમાં કામ કરતા હતા.
આ ક્ષેત્ર સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો, 2 લાખમાંથી 40 ટકા એટલે કે અંદાજે 80 હજાર ભારતીય આઇટી પ્રોફેશનલ્સ છે. આમાથી મોટા ભાગના એચ1બી અને એલ-1 વિઝા પર યુએસમાં રહે છે.
અહીં તમને પણ જણાવી દઈએ કે, H1B વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા છે. આ સામાન્ય રીતે એવા લોકોને અપાય છે જે રોજગારના આધારે કાયમી નિવાસી બનવા માંગે છે. આ વિઝા એક નિશ્ચિત સમયગાળા માટે આપવામાં આવે છે. જો અમેરિકાની કંપની કોઈ વિદેશી નાગરિકને નોકરી આપે તો કર્મચારી આ વિઝા દ્વારા કંપનીમાં કામ કરી શકે છે.
આવી જ રીતે L-1A અને L-1B વિઝા એવા લોકોને અપાય છે જે ચોક્કસ કુશળતા ધરાવતા હોય. આવા લોકો ઘણીવાર કંપનીઓમાં મેનેજમેન્ટ લેવલ પર હોય છે. તેમની ટ્રાન્સફર કંપનીની વિવિધ શાખાઓમાં થતી રહે છે. રિપોર્ટ અનુસાર, હવે નોકરી છોડ્યા બાદ આવા લોકોએ અમેરિકામાં રહેવા માટે વિકલ્પ શોધવો પડશે.
નિયમો અનુસાર, જો નોકરીમાંથી કાઢી મૂક્યાના 60 દિવસમાં ક્યાંય નોકરી ન મળે તો તેમને અમેરિકા છોડીને ભારત પરત ફરવુ પડે છે. હાલની સ્થિતીમાં આટલા લોકોને ફરીથી નોકરી મળવાની સંભાવના ઓછી છે.