રાજસ્થાન: 51 દિવસોમાં 81 બાળકોનું મૃત્યુ
રાજસ્થાનની બાંસવાડાની હોસ્પિટલમાં 51 દિવસોમાં 81 બાળકોનું મૃત્યુ
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ઑક્સિજનની અછતને કારણે અનેક નાના બાળકોનું મૃત્યુ થયું હતું. હવે રાજસ્થાનના બાંસવાડાની એક મોટી હોસ્પિટલનો પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. બાંસવાડાના મહાત્મા ગાંધી ચિકિત્સાલયમાં 51 દિવસોની અંદર 81 બાળકોનું મૃત્યુ થયું છે. તબીબો અનુસાર, કુપોષણને કારણે બાળકોનું મૃત્યુ થઇ રહ્યું છે. આ અંગે હોસ્પિટલના સીએમએચઓ એ કહ્યું કે, તેઓ પોતાની ટુકડી સાથે દરેક કેસની અલગથી તપાસ કરી રહ્યાં છે. આ તપાસ પૂર્ણ થતા બાળકોના મૃત્યુ પાછળનું સાચું કારણ સામે આવશે.

સાંકેતિક ચિત્ર
ઉલ્લેખનીય છે કે, ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં તબીબોની ગેરજવાબદારી અને ઑક્સિજનની અછતને કારણે ઓગસ્ટ માસમાં 415 બાળકોનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ યુપી સરકાર આ મામલે મુસીબતમાં મુકાઇ છે. બાળકોના મૃત્યુ અંગે યોગી સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે, ઓગસ્ટમાં તો બાળકોનું મૃત્યુ થાય જ છે. આ નિવેદન પર વિપક્ષોએ નિશાન સાધતાં વિવાદ થયો હતો. આ પહેલાં છત્તીસગઢ અને ઝારખંડમાં બાળકોના મૃત્યુના સમાચાર આવ્યા હતા. રાજસ્થાન સાથે આ ત્રણેય રાજ્યોમાં પણ ભાજપની સરકાર છે. ઝારખંડની બે હોસ્પિટલોમાં આ વર્ષે અત્યાર સુધીમાં 800થી વધુ બાળકોનું મૃત્યુ થયું છે.












Click it and Unblock the Notifications
