આપને હવે ભાજપ સાથે જોડાવાની ઇચ્છા
નવી દિલ્હી, 20 મે : લોકસભા ચૂંટણી 2014માં પોતાની સાખ ગુમાવી ચૂકેલી આમ આદમી પાર્ટી હવે પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહી છે. જે પાર્ટી દેશભરમાંથી અંદાજે 100 બેઠકો લાવવાનો દાવો કરી રહી હતી તેને લોકસભા ચૂંટણી 2014માં માત્ર 5 બેઠકો જ મળી છે. આ કારણે હવે પાર્ટીના કાર્યકરો નિષ્ફળતા માટે પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલને જવાબદાર ગણાવી રહ્યા છે.
બીજી તરફ કેજરીવાલ પણ પોતની હાર અને પાર્ટીના અસ્તિત્વ સામે ઉભા થયેલા જોખમોને કારણે પરેશાન છે. તેઓ કાર્યકરો દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપોથી ચિંતિત છે.આપના સ્થાપક સભ્ય શાઝિયા ઇલ્મીએ તો અરવિંદ કેજરીવાલ પર પાર્ટીને હાઇજેક કરી હોવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઘણા બેચેન છે. આપના ધારાસભ્યોનું માનવું છે કે જો આગામી થોડા સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજવામાં આવી તો તેમની હાર થશે. આ કારણે તેઓ ઇચ્છે છે કે કોંગ્રેસ સાથે નહીં તો છેવટે ભાજપ સાથે યુતિ કરી દેવામાં આવે. આ અંગે હવે એવી સ્થિતિ પણ ઉભી થઇ રહી છે કે આપના ધારાસભ્યો આપ છોડીને ભાજપમાં જોડાઇ જઇ શકે છે.