બેંક ડૂબતા હવે 90 દિવસમાં ખાતાધારકોને રૂપિયા મળી જશે, સરકાર સંસદમાં બીલ લાવશે
સરકારે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી), યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેંક જેવી બેંકોના મુશ્કેલીમાં મુકાયેલા ગ્રાહકોને મોટી રાહત આપી છે.
સરકારે પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી), યસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેંક જેવી બેંકોના મુશ્કેલીમાં મુકાયેલા ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં ડીઆઈસીજીસી એક્ટમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે આ અંગેનું બિલ સંસદમાં મુકવામાં આવશે. તેનાથી ખાતા ધારકોને બેંક ડૂબવાના વીમા હેઠળ 90 દિવસની અંદર પૈસા મળી જશે.
નાણા મંત્રી નિર્મલા સીતારામને કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) એક્ટમાં સુધારાને મંજૂરી આપવામાં આવી છે. નાણાં પ્રધાને કહ્યું કે કેબિનેટે આજે વીમા અને ધિરાણ ગેરંટી નિગમ સુધારા બિલ-2021 ને મંજૂરી આપી દીધી છે. સંસદના ચોમાસું સત્રમાં આ હવે તેને મૂકવામાં આવશે.
આ સુધારો ખાતાધારકો અને રોકાણકારોના નાણાંની સુરક્ષા કરશે. મંજૂરી પછી ખાતા ધારકોને 90 દિવસની અવધિમાં બેંકના વીમા હેઠળ નાણાં મળશે. નાણામંત્રીએ કહ્યું કે, આ અંતર્ગત તમામ વ્યાવસાયિક બેંકો, ગ્રામીણ બેંક હોય આવશે. નાણાં પ્રધાને કહ્યું કે આ વીમા માટેનું પ્રીમિયમ ગ્રાહક દ્વારા નહીં, બેંક દ્વારા ચૂકવવામાં આવે છે.
ડીઆઈસીજીસી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પેટા કંપની છે અને તે બેંક થાપણો પર વીમા કવર આપે છે. અત્યાર સુધી નિયમ હતો કે રિઝર્વ બેંક વિવિધ પ્રક્રિયાઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી 5 લાખ રૂપિયાનો વીમો હોવા છતાં પણ થાપણદારોને પૈસા મળતા નહીં. તેના કારણે લાંબા સમય સુધી ખાતાધારકોને પૈસા મળતા નહીં પરંતુ હવે એક્ટમાં ફેરફાર કરવાથી ગ્રાહકોને રાહત મળશે.
ડીઆઈસીજીસી એ ખાતરી આપે છે કે, બેંક બંધ થવાના કિસ્સામાં ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા બેંકના થાપણદારોને પરત મળે. અગાઉ આ વીમા રકમ માત્ર 1 લાખ રૂપિયા હતી, પરંતુ મોદી સરકારે ગયા વર્ષે જ તેને વધારીને 5 લાખ કરી દીધી છે. અત્યાર સુધીની જોગવાઈ મુજબ બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવે ત્યારે તેની સંપત્તિ વગેરે વેચવાની પ્રક્રિયા શરૂ થાય પછી રૂપિયા ચુકવાતા હતા, પરંતુ હવે નવા બિલની જોગવાઈ મુજબ પૈસા ત્રણ મહિનામાં પરત આપવાના રહેશે અને બાકીની પ્રક્રિયા ચાલુ રહેશે.