86 દિવસ બાદ આજથી કેદારનાથ ધામમાં પૂજાનો આરંભ

સવારે સાત વાગ્યે પૂજારી રાવલ ભીમ શંકર લિંગ શિવાચાર્યએ મંદિરના દ્વાર ખોલ્યા હતા અને પૂજા માટે ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. કેદારનાથની આ પૂજા આજે બુધવારે 'સર્વાર્થ સિદ્ધિ યોગ' નિમિત્તે શરૂ કરાઈ છે, જેને શુભ માનવામાં આવે છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન વિજય બહુગુણા મંત્રીમંડળના નેતાઓ સાથે પૂજામાં સામેલ થવાના હતા જોકે ખરાબ હવામાનને કારણે તેઓ દહેરાદૂનથી કેદારનાથ આવી શક્યા નહોતા.
કેદારનાથમાં હાલ વાદળછાયુ વાતાવરણ છે. કેદારનાથની પૂજા કવર કરવા માટે આવેલા મીડિયા જૂથોને પણ કેદારનાથથી દૂર 22 કિલોમીટર દૂર ગુપ્તકાશીમાં રોકાવું પડ્યું હતું. ખરાબ હવામનને કારણે તેઓ આગળ વધી શક્યા નહોતા. પૂજા પહેલા મંદિરમાં 'શુદ્ધિકરણ' અને બાદમાં 'પ્રાયશ્ચિતકરણ' કરવામાં આવ્યું.
મુખ્ય પૂજારી સાથે મોટી સંખ્યામાં પુરોહિતો અને બદ્રીનાથ કેદારનાથ સમિતિના અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સામુહિક મંત્રોચ્ચાર અને પવિત્ર શંખનાદ સાથે મંદિર ગૂંજી ઉઠ્યું હતું.
13500 ફૂટની ઉંચાઈએ આવેલ આ મંદિરમાં જવા માટે સામાન્ય નાગરિકોને પરવાનગી નથી. કેદારનાથની યાત્રા અટકાવી દેવામાં આવી છે, યાત્રા ફરી શરૂ કરવાની તારીખ નક્કી કરવા માટે 30 સપ્ટેમ્બરના રોજ બેઠક મળશે.
પૂજા માટે મંદિરમાં સફાઈ બાદ મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યું. ઉત્તરાખંડમાં આવેલ ભયાનક પ્રકોપને પગલે રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી અને પિથૌરાગઢમાં ભયાનક વિનાશ થયો હતો. આ આપત્તિમાં 600થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 4000થી વધુ લોકો ગુમ થયા હતા.












Click it and Unblock the Notifications
