નવા આર્મી ચીફ બિપિન રાવતની નિયુકિત પર થયો રાજકીય હોબાળો, સરકારના નિર્ણયનો વિરોધ
આ વખતે આર્મી ચીફની નિયુક્તિમાં સરકાર તરફથી વરિષ્ઠતાનું ધ્યાન રાખવામાં આવ્યુ નથી. આ મુદ્દે બિપિન રાવતની નિયુક્તિનો વિરોધ થઇ રહ્યો છે...
કાશ્મીર અને નોર્થ વેસ્ટમાં આતંકવાદ સામે ભીડવાનો સારો એવો અનુભવ ધરાવનાર લેફ્ટેનેંટ જનરલ બિપિન રાવતને જ્યારે સરકારે નવા આર્મી ચીફ નિયુક્ત કર્યા તો અન્ય પક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે. વાસ્તવમાં, બિપિન રાવતથી વરિષ્ઠ બે અધિકારી પણ આર્મી ચીફ બનવાની દોડમાં હતા. હવે આ મુદ્દા પર વિરોધી પક્ષો પણ સવાલ ઉભા કરી રહ્યા છે કે સીનિયર અધિકારીઓને બાજુ પર મૂકીને બિપિન રાવતને આર્મી ચીફ કેમ બનાવવામાં આવ્યા?
સૌથી વરિષ્ઠ અધિકારીને આર્મી ચીફ બનાવવાનું ચલણ
સામાન્ય રીતે સેનાઓના ચીફ તેમને બનાવવામાં આવે છે જે વરિષ્ઠતાની રેકિંગમાં સૌથી ઉપર હોય છે. જેમ કે નવા વાયુસેના પ્રમુખ વિરેન્દ્રસિંહ ધનોવા મામલે થયુ. તેમની નિયુક્તિ વરિષ્ઠતાના આધારે થઇ પરંતુ થલ સેના પ્રમુખ બિપિન રાવતની નિયુક્તિમાં વરિષ્ઠતાના આધારનું ધ્યાન રાખવામાં આવ્યુ નથી.
કોંગ્રેસના મનીષ તિવારીએ ઉઠાવ્યા સવાલ
બિપિન રાવતની આર્મી ચીફ તરીકે નિયુક્તિનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્વીટ કર્યુ કે, 'આર્મી ચીફની નિયુક્તિમાં વરિષ્ઠતાનું સમ્માન કેમ નથી કરવામાં આવ્યુ? લેફ્ટેનેંટ જનરલ પ્રવીણ બક્શી અને લેફ્ટેનેંટ જનરલ હારિજને કેમ બાજુએ મૂકી દેવામાં આવ્યા?'
બિપિન રાવતથી વરિષ્ઠ છે આ અધિકારીઓ
વર્તમાન આર્મી ચીફ દલબીર સિંહ સુહાગ બાદ આર્મી કમાંડર લેફ્ટેનેંટ જનરલ પ્રવીણ બક્શી સૌથી વધુ સીનિયર સેનાધિકારી છે. વરિષ્ઠતા મામલે તેમના પછી દક્ષિણી થલ સેના કમાંડર લેફ્ટેનેંટ જનરલ પી એમ હારિજ આવે છે. ત્યારબાદ બિપિન રાવતનો નંબર આવે છે. લેફ્ટેનેંટ જનરલ બક્શી 1977 ના ડિસેમ્બરમાં આર્મીમાં જોડાયા હતા. લેફ્ટેનેંટ જનરલ હારિજ 1978 ના જૂનમાં સેનાના જવાન બન્યા હતા. બિપિન રાવત 1978 ના ડિસેમ્બરમાં ગોરખા રાઇફલ્સમાં સામેલ થયા હતા.
ડાબેરીઓએ પણ આર્મી ચીફની નિયુક્તિ પર ઉઠાવ્યા સવાલ
સીપીઆઇએમ નેતા મોહમ્મદ સલીમે આ નિયુક્તિ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, 'સેનાના મુદ્દાઓ પર અમે જો કે ટીપ્પણી નથી કરતા પરંતુ એવુ લાગે છે કે સરકાર દેશની મોટી પરંપરા બદલવાની કોશિશ કરી રહી છે.'
આ પહેલા પણ વરિષ્ઠતાના ફોર્મ્યૂલાને બાજુએ મૂકાયો હતો
1983 માં લેફ્ટેનેંટ જનરલ એ એસ વૈદ્યને 13 માં થલ સેના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. એ વખતે સૌથી વરિષ્ઠ સેનાધિકારી લેફ્ટેનેંટ જનરલ એસ કે સિન્હા હતા.