'અગ્નિપથ' યોજનાના વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, અગ્નિવીરોને CRPF અને આસામ રાઈફલ્સમાં 10% અનામત
અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે.
નવી દિલ્લીઃ અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે કેન્દ્રીય પોલીસ દળો (CRPF) અને આસામ રાઈફલ્સમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે જણાવ્યુ હતુ કે અગ્નિપથ યોજના દ્વારા સૈન્યમાં ભરતી થયેલા અગ્નિવીરોને જ્યારે તેઓ તેમની ચાર વર્ષની સેવા પૂરી કરશે ત્યારે કેન્દ્રીય પોલીસ દળ(CRPF) અને આસામ રાઈફલ્સમાં 10% અનામત આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત ઉપલી વય મર્યાદામાંથી ત્રણ વર્ષની છૂટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચને નિર્ધારિત ઉપલી વય મર્યાદામાંથી 5 વર્ષની છૂટછાટ મળશે.
ગૃહ મંત્રાલયે ટ્વિટ કરીને શું કહ્યુ?
ગૃહ મંત્રાલયે ટ્વિટ કર્યુ, 'ગૃહ મંત્રાલયે CRPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. અગ્નિવીરોને બે દળોમાં ભરતી માટે ઉપલી વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવે છે. અગ્નિવીરની પ્રથમ બેચ માટે વયમાં છૂટછાટ ઉપલી વય મર્યાદામાંથી 5 વર્ષ હશે.'
આ રાજ્ય પોલિસ ભરતીમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા
કેન્દ્રએ અગાઉ ખાતરી આપી હતી કે અગ્નિવીરોનુ ભવિષ્ય અસુરક્ષિત નથી. જો કે ચાર વર્ષ પછી માત્ર 25% જ બળ જાળવી રાખવામાં આવશે કારણ કે બાકીનાને દેશના અન્ય દળોમાં ભરતીમાં પ્રાથમિકતા મળશે. આસામ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણા સહિતના કેટલાક ભાજપ શાસિત રાજ્યોએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તેઓ તેમના રાજ્યની પોલીસ ભરતીમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપશે.
અગ્નિપથને લઈને દેશભરમાં વિરોધ
અગ્નિપથના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને અગ્નિપથ માત્ર ચાર વર્ષ માટે જ રોજગાર આપશે. આને લઈને દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખાસ કરીને તેલંગાના અને બિહારમાં વ્યાપક હિંસા, આગચંપી, રેલ્વે મિલકતોને નુકસાન થાય છે. તેલંગાણામાં વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસ ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મોત થયુ છે. ટૂંકા ગાળાની ભરતી યોજનાની વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી છે.