મોદીની કાનપુર રેલીમાં હાજર રહી શકે છે અખિલેશ યાદવ
લખનૌ, 8 ઓક્ટોબર : સમાજવાદી પાર્ટી - સપાના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે ગઇકાલે ભલે ત્રીજા મોરચાનું રટણ શરૂ કર્યું પણ ઉત્તર પ્રદેશનું ચિત્ર એક નવા સમીકરણ તરફ ઇશારો કરી રહ્યું છે. આ નવું ચિત્ર મુલાયમ સિંહના દીકરા અને ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી અખિલેશ યાદવ તૈયાર કરી શકે એમ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર અખિલેશ યાદવ જો ભાજપ તરફથી મોકલવામાં આવેલું આમંત્રણ સ્વીકાર કરશે તો નવા સમિકરણની રચના થઇ શકે એમ છે. ઉત્તર પ્રદેશ ભાજપે અખિલેશને કાનપુરમાં યોજાનારી નરેન્દ્ર મોદીની રેલીમાં ઉપસ્થિત રહેલા માટે આમંત્રણ મોકલી આપવાનો નિર્ણય લીધો છે.
મુલાયમ સિંહ ભલે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીથી અંતર રાખી રહ્યા હોય, પરંતુ કાનપુરમાં યોજાનારી નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી આપવાની અનુમતિ દર્શાવીને અખિલેશ યાદવ ભાજપ અને સપા વચ્ચેનું અંતર ઘટાડવા માટેની તત્પરતા દર્શાવતા સંકેત આપી શકે એમ છે.

આગામી 19 ઓક્ટોબરના રોજ ગૌતમ બુદ્ધ પાર્કમાં નરેન્દ્ર મોદીની વિશાળ જનસભા અને રેલી યોજાવાની છે. ભાજપના સ્થાનિક નેતાઓ મોદીની રેલીને ખાસ બનાવવા માટે પ્રયાસરત છે. ભાજપના એક પ્રદેશ સચિવના જણાવ્યા અનુસાર આ રેલીમાં ભાગ લેવા માટે રાજ્યપાલ બીએલ જોશી અને મુખ્યમંત્રી અખિલેશ યાદવને આમંત્રણ આપવામાં આવશે.
હવે જોવાનું એ રહે છે કે અખિલેશ તરફથી આ અંગે કેવી પ્રતિક્રિયા આવે છે. જો તેઓ આમંત્રણ સ્વીકરશે તો ભાજપ અને સપા વચ્ચે નવા સંબંધોનો આરંભ થશે. જો અખિલેશ ભાજપ સાથે હાથ મિલાવશે તો કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઇ શકે છે.












Click it and Unblock the Notifications
