અલ્હાબાદ HCએ તાજ મહેલના 22 ઓરડા ખોલવાની અરજી ફગાવી
અલ્હાબાદ HCએ તાજ મહેલના 22 ઓરડા ખોલવાની અરજી ફગાવી
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે સુનાવણી બાદ તાજ મહેલના 22 ઓરડા ખોલવાની અરજી ફગાવી દીધી છે. જેની સાથે જ કોર્ટે કહ્યું, 'કયા સબ્જેક્ટ પર રિસર્ચ થવું જોઈએ કે નહીં એ નક્કી કરવા અમે અહીં નથી બેઠા.' આની સાથે જ લખનઉ બેંચે કહ્યું કે આ મામલો કોર્ટની બહારનો છે અને તેને ઈતિહાસકારો ઉપર છોડી દેવો જોઈએ.
જ્યારે અરજદારોના વકીલ રુદ્ર વિક્રમ સિંહે કહ્યું કે કોર્ટની નજરમાં આ મામલો ન્યાયિક નથી બલકે વિવાદાસ્પદ છે. આના પર તમે ડિબેટ કરી શકો છો. અમારી 4 અપીલ હતી, પહેલી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બનાવવામાં આવે, બીજી બંધ ઓરડા ખોલવામાં આવે, ત્રીજી આની સાથે જોડાયેલ એક્ટનું પુનર્લેખન અને ચોથી બેસમેન્ટમાં બનેલ દિવાલ જે બંધ છે તેની સ્ટડી કરવાની મંજૂરી આપવામાં આવે. આ ચારેય અપીલ ફગાવી દેવામાં આવી છે. અમને આ મુદ્દે રિસર્ચ કરવાનું કહેવામાં આવ્યું છે. હવે અમે હિસ્ટ્રી એકેડમીનો સંપર્ક કરીશું.
આ પહેલાં લખનઉ બેંચના જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારોને ફટકાર લગાવતા કહ્યું હતું કે તાજ મહેલ વિશે રિસર્ચ કર્યા બાદ જ કોઈ અરજી દાખલ કરવામાં આવવી જોઈએ. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું, 'પીઆઈએલને મજાક ના બનાવો, તાજ મહેલ ક્યારે અને કોણે બનાવ્યો હતો તે પહેલાં વાંચી લો.' લખનઉ બેંચે આની સાથે જ કહ્યું કે કાલે તો તમે આવશો અને કહેશો અમારે જજીસની ચેમ્બરમાં જવું છે તો શું અમે તમને ચેમ્બર દેખાડશું? સાથે જ અરજદારને ફટકાર લગાવતા કહ્યું કે ઈતિહાસ તમારા હિસાબે ભણાવવામાં નહીં આવે.
જાણો કોણે અરજી કરી
જણાવી દઈએ કે તાજ મહેલના 22 ઓરડામાંથી 20 ઓરડા ખોલવાની અરજી ભાજપના અયોધ્યા મીડિયા પ્રભારી ડૉ રજનીશ સિંહે 7 મેના રોજ કોર્ટમાં દાખલ કરી હતી. આની સાથે જ ભાજપ નેતાએ આ ઓરડામાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ હોવાની આશંકા જતાવતા કહ્યું હતું કે આ બંધ ઓરડાને ખોલી તેનું રહસ્ય દુનિયા સામે લાવવું જોઈએ. આમ તો ડૉ રજનીશ સિંહે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે તેમણે આરટીઆઈ દાખલ કરી આ વિશે જાણકારી હાંસલ કરવાની કોશિશ કરી કે આખરે 22 ઓરડા બંધ કેમ છે? આરટીઆઈના જવાબથી સંતુષ્ટ ના થવા પર તેમણે કોર્ટનો સહારો લીધો હતો. આ સાથે જ અરજદારે યુપી સરકારને આ મામલે એક સમિતિની રચના કરવાની માંગ કરી હતી.
જો કે આરટીઆઈમાં જણાવવામાં આવ્યું કે સુરક્ષા કારણોસર તાજ મહેલના 22 રૂમ બંધ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, કેટલાય હિન્દુ સંગઠન તાજ મહેલને ભગવાન શિવનું મંદિર ગણાવે છે. એટલું જ નહીં, આ કારણે જ તાજ મહેલને લઈ મુદ્દો ગરમ રહે છે. જ્યારે ઈતિહાસકારોનું કહેવું છે કે તાજ મહેલ વિશ્વ ધરોહર છે, આ હિસાબે તેને ધાર્મિક રંગ આપવો યોગ્ય નથી.