અમરનાથ યાત્રાના પ્રારંભે બરફનું શિવલિંગ 40 ટકા ઓગળ્યું!
જમ્મુ - કાશ્મીર, 14 જૂન : આ વર્ષે બાબા અમરનાથના દર્શનની આશા લઇને અમરનાથ યાત્રામાં જોડાનારા શ્રદ્ધાળુઓની આશા ફળવાની શક્યતા ઓછી છે. કારણ કે બર્ફાની બાબાનાં દર્શન શ્રદ્ધાળુઓને નહીં થઈ શકે. અમરનાથમાં 3888 મીટરની ઉંચાઈ પર પ્રાકૃતિક રૂપથી બનનારું બરફનું શિવલિંગ અમરનાથ યાત્રાના પ્રારંભમાં જ 40% જેટલું ઓગળી ગયું છે. સામાન્ય રીતે બરફનું શિવલિંગ દર વર્ષે શ્રાવણ મહિનાના અંતમાં ઓગળતું હોય છે.
આ વર્ષે બનેલી વિચિત્ર બાબત અંગે હવામાન વિભાગનાં અધિકારીઓનું કહેવું છે કે, ખીણમાં તાપમાન વધીને 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાને કારણે બાબા બર્ફાનીનાં દર્શન મુશ્કેલ થઇ જવાની શક્યતાઓ છે. રક્ષાબંધન સુધી અંદાજે બે મહિના ચાલનારી અમરનાથ યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે. આ વર્ષે અમરનાથની યાત્રા કુલ પંચાવન દિવસો સુધી ચાલશે. 21 ઓગસ્ટ એટલે રક્ષાબંધનનાં દિવસે યાત્રાનાં અંતિમ દર્શન થશે. યાત્રાળુઓની સંખ્યાને જોતા અત્યારસુધીમાં બે લાખથી વધારે શ્રદ્ધાળુઓની નોંધણી થઈ ચુકી છે. નોંધણીની પ્રક્રિયા અઢી મહિના પહેલા શરૂ થઇ ચૂકી હતી.