FTIIના ચેરમેન તરીકે અનુપમ ખેરની નિમણૂક સામે વિરોધ
FTII ના ચેરમેન તરીકે અનુપમ ખેરની નિમણુકનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.
બુધવારે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરને ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(FTII)ના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ગજેન્દ્ર ચૌહાણની જગ્યાએ ચેરમેન પદ સંભાળશે એવી જાહેરાત થયા બાદ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. એનડીએ સરકાર દ્વારા 9 જૂન, 2015ના રોજ ગજેન્દ્ર ચૌહાણને એફટીઆઈઆઈના ચેરમેન બનાવ્યા હતા, તે સમયે પણ તેમની નિમણૂક સામે ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. તે સયમે વિદ્યાર્થીઓએ લગભગ 139 દિવસો સુધી પ્રદર્શન કર્યું હતું અને ઉગ્ર વિરોધને કારણે ગજેન્દ્ર ચૌહાણ નિમણૂકના લગભગ 7 મહિના બાદ પોતાનું પદ સંભાળી શક્યા હતા.

હવે વિદ્યાર્થીઓએ અનુપમ ખેરની નિયુક્તિનો પણ વિરોધ કર્યો છે. વિદ્યાર્થી સંઘનો આરોપ છે કે, આ તો હિતોના ટકરાવનો મામલો છે. અનુપમ ખેર મુંબઇમાં પોતાની એક્ટિંગ સ્કૂલ ચલાવે છે. એફટીઆઈઆઈના વિદ્યાર્થી સંઘ(એફએસએ) દ્વારા અનુપમ ખેરે અસહિષ્ણુતા અંગે આપેલ નિવેદન અને 'સરકારના કેટલાક વિચારોના પ્રચાર' કરવાના તેમના પ્રયત્નો પર પણ આપત્તિ લીધી છે. વિદ્યાર્થી સંઘ દ્વારા ઉપરોક્ત કારણો આગળ ધરતા કહેવામાં આવ્યું છે કે, આ બાબતોને કારણે અનુપમ ખેર આ પદ માટે યોગ્ય નથી, આ પદ સંભાળી શકે એવા અનેક લોકો છે અને આથી અમે આ નિમણૂકનો વિરોધ કરીએ છીએ. સરકારે અમારી સાથે ફરી મજાક કરી છે.












Click it and Unblock the Notifications
