રેપ કેસમાં આસારામ દોષી, જાણો શું હતો આખો મામલો?
આજે આ કેસમાં ચુકાદો આવવા જઇ રહ્યો છે. ત્યારે આ કેસ અંગે અતથી ઇતી સુધીની સમગ્ર માહિતી જાણવા માટે આગળ વાંચો...
સગીર પર દુષ્કર્મ કેસ મામલામાં આસારામ પર 25 એપ્રિલે ચુકાદો આવી ગયો છે. ધરપકડ બાદ જામીન પર છૂટવા માટે આસારામે જાત-ભાતના બહાના આપ્યાં. ક્યારેક ખુદને અમીર આદમી જણાવ્યો તો ક્યારે ખુદને દર્દી ગણાવ્યો, ક્યારેક મીડિયાને નિશાન બનાવ્યું તો ક્યારેક ચુકાદો જલદી આપવાની કામના કરી હતી. હવે ફાઇનલી આજે આ કેસમાં ચુકાદો આવી ગયો છે. ત્યારે આ કેસ અંગે અતથી ઇતી સુધીની સમગ્ર માહિતી જાણવા માટે આગળ વાંચો...
આસારામ પર રેપ કેસ દાખલ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતા પરિવારે તેમની દીકરી પર આસારામે રેપ કર્યો હોવાની ઓગસ્ટ 2013માં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે પીડિતાનો સમગ્ર પરિવાર આસારામનો કટ્ટર અનુયાયી હતી. એટલું જ નહીં પીડિતાના પિતાએ પોતાના જ ખર્ચે શાહજહાંપુરમાં આસારામનો આશ્રમ પણ બંધાવી આપ્યો હતો. આ સાધક પરિવારે પોતાના બે સંતાનોને છિંદવાડા ખાતેના આસારામના ગુરુકુણમાં અભ્યાસ માટે મોકલ્યાં હતાં. આસારામના આશ્રમમાંથી એક દિવસ પીડિતાના પરિવારને ફોન આવ્યો અને સામેથી કહેવામાં આવ્યું હતું કે તમારી દીકરીને વળગાડ છે અને માત્ર આસારામ જ તેમને ઠીક કરી શકે તેમ છે.
ઇલાજના બહાને કર્યો રેપ
પીડિતાના પરિવારે નોંધેલી ફરિયાદ મુજબ પીડિતાને ઠીક કરવાના બહાને આસારામે તેને પોતાની ઝૂંપડીમાં બોલાવી સગીરા પર બળાત્કાર કર્યો હતો.
આસારામની ધરપકડ
31મી ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પોલીસે આસારામને દબોચી લીધો હતો. ત્યારથી આસારામ જોધપુરની જેલની હવા ખાઇ હ્યો છે. હવે 25 એપ્રિલના રોજ આ મામલે ચુકાદો આવનાર છે ત્યારે આજે આસારામને આ કેસમાં રાહતના સમાચાર મળશે કે નહીં તે નક્કી થઇ જશે.
કેટલીય વખત અરજી ફગાવાઇ
આસારામે અત્યાર સુધીમાં પોતાનો કેસ લડવા માટે રામ જેઠમલાણી, રાજુ રામચંદ્રન, સુબ્રમણ્યમ સ્વામી, સિદ્ધાર્થ લુથરા, સલમાન ખુર્શીદ, કેટી એસ તુલસી અને યુયુ લલિત સહિતના દેશના ખ્યાતનામ વકીલોને રોક્યા હતા. તેમ છતાં આસારામના જામીન મંજૂર ન થયા અને કોર્ટે 11 વખત આસારામની જામીન અરજી ફગાવી દીધી હતી. આજે આ મામલે નિર્ણયાક ચુકાદો આવનાર છે.
પીડિતાના પરિવારનો આક્ષેપ
ફરિયાદ કર્યા બાદથી જ આસારામના સમર્થકો દ્વારા પીડિતાના પરિજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, અને કેટલીય વખત ધમકી પણ અપાઇ હોવાની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં આ કેસમાં અત્યાર સુધીમાં 2 સાક્ષીઓની હત્યા પણ થઇ ચૂકી છે.
અગાઉ પણ થયા કેસ
સુરતમાં બે બહેનોએ આસારામ અને તેના દીકરા નારાયણ સાંઇ વિરુદ્ધ તેમને ગોંધી રાખીને બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં નારાયણ સાંઇ પણ હાલ જેલમાં છે. સુરત દુષ્કર્મ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિને રાજકોટમાં ગોળી મારી હત્યા કરી મુકાઇ હતી.
પીડિતાની જાનને ખતરો
આસારામ પર આજે ચુકાદો આવનાર હોવાથી ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતા પીડિતાના પરિવારના ઘરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સમગ્ર મામલાને લઇ તેઓ સચેત થઇ ગયા છે અને ઘરે આવતા-જતા તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ જોધપુરમાં પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ચુકાદા પૂર્વેની તૈયારી
પંચકૂલા જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જેલ તંત્રએ કોર્ટને અરજી કરી હતી કે ચુકાદા દરમિયાન આસારામને જેલમાં જ રહેવા દેવામાં આવે. કોર્ટે આ માગણી મંજૂર કરી અને જેલમાં જ કોર્ટ લગાવવાનો નિર્ણય લીધો. જ્યારે બીજી બાજુ 10 દિવસ માટે જોધપુરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.
આસારામે ભક્તોને ચિઠ્ઠી લખી
આ દરમિયાન આસારામે જેલમાંથી પોતાના ભક્તોને ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં આસારામે લખ્યું હતું કે તેમને ભગવાન પર વિશ્વાસ છે અને તેઓ છૂટી જશે. આસારામે પોતાના ભક્તોને જોધપુર આવીને પૈસા તથા સમય બગાડવાની ના પાડી અને જ્યાં છે ત્યાં જ રહેવા કહ્યું અને આગળ કહ્યું કે જેલ મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરો.